પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે ટેલિફોનિક ચર્ચા: ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર શાંતિના મક્કમ વલણની પુષ્ટિ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ અને વિસ્તૃત ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ, યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની શક્યતાઓ અને રશિયાના હુમલાઓ પર ચર્ચા થઈ.
ઝેલેન્સકીએ રશિયા દ્વારા યુક્રેનના નાગરિક વિસ્તારો પર થઈ રહેલા હુમલાઓનું ઉદાહરણ આપતાં ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા હુમલાની વિગતો શેર કરી.
ઝેલેન્સકીએ પીએમ મોદીનો આભાર માન્યો
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદી સાથે લાંબી વાતચીત કરી. તેમણે યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ અને શાંતિ પ્રયાસોમાં ભારતના સમર્થન બદલ પીએમ મોદીનો આભાર માન્યો. ઝેલેન્સકીએ યુક્રેનના શહેરો અને ગામડાઓ પર રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ વિશે પણ માહિતી આપી, જેમાં ઝાપોરિઝિયામાં તાજેતરમાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીનો જવાબ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરીને અને તાજેતરના વિકાસ પર તેમના મંતવ્યો જાણીને આનંદ થયો. મેં તેમને સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતનું મક્કમ વલણ જણાવ્યું. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.”
રશિયા પર પ્રતિબંધોની ચર્ચા
વાતચીત દરમિયાન, ઝેલેન્સકીએ રશિયા પર લાદેલા પ્રતિબંધો અને ઉર્જા નિકાસ મર્યાદિત કરવાની વાત પણ ઉઠાવી, જેને લઈને રશિયા પર આર્થિક દબાણ વધારી શકાય. તેમણે કહ્યું કે યુદ્ધ ચાલુ રાખવા માટે રશિયાના ભંડોળને મર્યાદિત કરવા આ પગલાં જરૂરી છે. તેમણે વિશ્વના નેતાઓને રશિયા પર દબાણ લાવવા મજબૂત સંકેતો મોકલવા વિનંતી કરી.
આ વાતચીતમાં શાંતિ સ્થાપનાના પ્રયાસોમાં ભારતની ભૂમિકા અને યુક્રેન સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતાનું પુષ્ટિ કરવામાં આવ્યું.