ઈંધણ સંકટની એંધાણ: પીએમ મોદીની ‘સંયમ’ રાખવાની અપીલ, જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા તણાવની સીધી અસર હવે ભારતના રસોડા અને વાહનો સુધી પહોંચવા લાગી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ છે, જેના પગલે ભારત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. રવિવારે તેલંગાણામાં હજારો કરોડના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અત્યંત ગંભીર અને વિવેકપૂર્ણ અપીલ કરતા કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ “અત્યંત સંયમ” સાથે કરીએ.
પીએમ મોદીની અપીલ: કેમ ઈંધણ બચાવવું જરૂરી છે?
પીએમ મોદીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે આયાતી ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) નો ઉપયોગ માત્ર ત્યારે જ કરવો જોઈએ જ્યારે તે અનિવાર્ય હોય. પીએમએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર પૈસાની બચત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતાનો વિષય છે.
તેમણે કહ્યું, “આપણે જેટલું ઓછું પેટ્રોલિયમ વાપરીશું, તેટલું જ વિદેશી હૂંડિયામણ બચશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધો આપણા અર્થતંત્રને નુકસાન ન પહોંચાડે તે માટે નાગરિકોએ પોતાની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.” પીએમએ બિનજરૂરી મુસાફરી ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
તેલ કંપનીઓ પર વધતું આર્થિક દબાણ
એક તરફ સરકાર ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં તેલના વધતા ભાવોને કારણે સરકારી તેલ કંપનીઓ (OMCs) ની હાલત કફોડી બની રહી છે. અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું હોવા છતાં સ્થાનિક બજારમાં ભાવ ન વધતા તેલ કંપનીઓને દરરોજ અંદાજે ₹૧,૬૦૦ થી ₹૧,૭૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આવનારા દિવસોમાં સામાન્ય જનતા પર ભાવ વધારાનો બોજ આવી શકે છે તેવી શક્યતા નકારી શકાતી નથી.
૧૧ મે ૨૦૨૬: મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
આજે સોમવારે પણ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીથી લઈને મુંબઈ સુધીના મહાનગરોમાં ભાવ સ્થિર છે:
| શહેર | પેટ્રોલ (પ્રતિ લિટર) | ડીઝલ (પ્રતિ લિટર) |
| મુંબઈ | ₹૧૦૩.૫૪ | ₹૯૦.૦૩ |
| દિલ્હી | ₹૯૪.૭૭ | ₹૮૭.૬૭ |
| અમદાવાદ | ₹૯૪.૪૪ | ₹૯૦.૧૧ |
| કોલકાતા | ₹૧૦૫.૪૫ | ₹૯૨.૦૨ |
| ચેન્નાઈ | ₹૧૦૦.૮૦ | ₹૯૨.૩૯ |
| બેંગલુરુ | ₹૧૦૨.૯૨ | ₹૯૦.૯૯ |
| પોર્ટ બ્લેર | ₹૮૨.૪૬ | ₹૭૮.૦૫ |
(નોંધ: શેલ જેવા ખાનગી પેટ્રોલ પંપો પર ભાવમાં નજીવો તફાવત હોઈ શકે છે.)
આગામી સમયમાં શું થશે?
પીએમ મોદીની આ અપીલને નિષ્ણાતો ‘પ્રી-વોર્નિંગ’ તરીકે જોઈ રહ્યા છે. જો ઈરાન-અમેરિકા સંઘર્ષ લાંબો ચાલશે, તો ભારત સરકાર માટે લાંબા સમય સુધી ભાવને દબાવી રાખવા મુશ્કેલ બનશે. પીએમની અપીલ બાદ હવે ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘ઈલેક્ટ્રિક વાહનો’ તરફ લોકોનું વલણ વધે તેવી શક્યતા છે.

