દાહોદમાં પીએમશ્રી શાળાઓના આચાર્યો સાથે બેઠક, શિક્ષણની ગુણવત્તા સુધારવા સંયુક્ત સચિવ કે.કે. નિરાલાનું માર્ગદર્શન
ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લા સેવા સદન ખાતે દાહોદની પીએમશ્રી શાળાઓના આચાર્યો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પીએમશ્રી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના રોડમેપ અંગે ચર્ચા કરવાનો હતો.
શિક્ષકોના શ્રેષ્ઠ પ્રદર્શનથી જ બાળકોનું ભવિષ્ય ઘડાશે: કે.કે.નિરાલા
સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષક જે ઇનપુટ આપશે તે જ બાળકોમાં આઉટપુટ તરીકે દેખાશે. દરેક શિક્ષક પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવે અને બાળકો સામે ચાલીને પ્રશ્નો પૂછતા થાય તેવું વાતાવરણ ઉભું કરે તે જરૂરી છે. જો વિદ્યાર્થીઓ રસ લેતા થશે, તો જ શિક્ષણનો સાચો હેતુ સિદ્ધ થશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે શિક્ષકોએ પોતાના તરફથી બેસ્ટ પરફોર્મન્સ આપીને બાળકોને અભ્યાસમાં રુચિ જાગે તે દિશામાં સતત કાર્યરત રહેવું જોઈએ.
શિક્ષણની ગુણવત્તા અને ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન પર વહીવટી તંત્રનો ભાર
કલેક્ટર યોગેશ નિરગુડેએ શિક્ષકોને બાળકોની ગુણવત્તામાં સુધારો લાવવા અપેક્ષિત કામગીરી કરવા સૂચના આપી હતી. તો બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ ક્લાસરૂમ ઓબ્ઝર્વેશનનું મહત્વ સમજાવતા કહ્યું કે આજના આધુનિક સમયમાં શિક્ષકોએ પણ સતત શીખતા રહેવું જોઈએ. શાળાઓને મળતી ગ્રાન્ટનો પૂરેપૂરો અને સદુપયોગ કરીને વિદ્યાર્થીઓને ભૌતિક કે શૈક્ષણિક કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે જોવાની જવાબદારી શાળા સંચાલનની છે. પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ પણ પીએમશ્રી શાળાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.
પીએમશ્રી શાળાઓના ૬ આધાર સ્તંભો અને ભાવિ આયોજન
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારિયાએ પીપીટી દ્વારા પીએમશ્રી શાળાઓના ૬ મુખ્ય આધાર સ્તંભો વિશે વિગતવાર માહિતી આપી હતી. જેમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, માનવ સંસાધન, ભૌતિક સુવિધાઓનો ઉપયોગ, સમાવેશી શિક્ષણ, વ્યવસ્થાપન અને લાભાર્થીઓના સંતોષ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા સહિત બીઆરસી, સીઆરસી અને પીએમશ્રી શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા દાહોદ જિલ્લામાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે નવી દિશા મળી છે.

