સંજેલીના મોટાકાળિયામાં પોષણ ક્રાંતિ: ગંભીર કુપોષણમાંથી ‘નૉર્મલ’ કેટેગરીમાં પહોંચ્યો બાળક
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોટા કાળિયા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ નાનકડો બાળક આરવ રાકેશભાઈ નિસરતા ગંભીર કુપોષણ (SAM)ની સ્થિતિમાં હતો. આરવના માતા-પિતા મજૂરીકામ માટે બહારગામ રહેતા હોવાથી તેની દેખરેખ દાદી દ્વારા કરવામાં આવતી હતી, જેના કારણે શરૂઆતમાં બાળકના પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાયું નહોતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને આંગણવાડીની ટીમ દ્વારા બાળકને વિશેષ દેખરેખ હેઠળ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સી-મેમ (C-MAM) કાર્યક્રમ હેઠળ બાળકની પદ્ધતિસરની સારવાર
બાળકને ‘સી-મેમ’ કાર્યક્રમ હેઠળ ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જોડવામાં આવ્યું હતું. શરૂઆતમાં જ્યારે આરવની તપાસ કરવામાં આવી ત્યારે તેનું વજન ૧૩.૧ કિલોગ્રામ અને ઊંચાઈ ૧૦૬.૫ સેમી હતી, જે તબીબી માપદંડ મુજબ ગંભીર કુપોષિત કેટેગરીમાં આવતી હતી. આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે મુખ્ય સેવિકા મણીબેન ભાભોર અને આંગણવાડી કાર્યકરની ટીમે કમર કસી હતી. આરબીએસકે (RBSK) ટીમ અને આશા બહેનોના સહયોગથી બાળકને આયર્ન-ફોલિક એસિડ સિરપ અને પૂરક પોષણ આપવાનું શરૂ કરાયું હતું.
દૂધ સંજીવની યોજના અને પૌષ્ટિક આહારની જાદુઈ અસર
આરવને સ્વસ્થ બનાવવા માટે ‘દૂધ સંજીવની યોજના’ અંતર્ગત પોષણયુક્ત દૂધ અને ટી.એચ.આર. (Take Home Ration) ના પેકેટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પેકેટમાંથી દરરોજ રાબ અને શીરો બનાવીને બાળકને ખવડાવવામાં આવતો હતો. સતત બે મહિના સુધી ચાલેલી આ મહેનતનું પરિણામ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જોવા મળ્યું, જ્યારે આરવનું વજન વધીને ૧૪.૭ કિલોગ્રામ થઈ ગયું. હવે આરવ ગંભીર કુપોષણમાંથી બહાર આવીને સંપૂર્ણપણે ‘સામાન્ય’ અને સ્વસ્થ કેટેગરીમાં આવી ગયો છે.
‘સુપોષિત દાહોદ’ અભિયાન અને વહીવટી તંત્રનું માર્ગદર્શન
આ સફળતા પાછળ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણનું કુશળ માર્ગદર્શન રહેલું છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા બાળકના પરિવારને સ્વચ્છતા અને પોષણયુક્ત ખોરાક અંગે સતત સમજણ આપવામાં આવી હતી. ‘સુપોષિત દાહોદ’ અભિયાન હેઠળ કુપોષણ સામેની આ લડત અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ બની છે. આવા સક્રિય પ્રયાસોથી જિલ્લાના વધુને વધુ બાળકોને કુપોષણના ચક્રમાંથી મુક્ત કરીને તંદુરસ્ત જીવન તરફ દોરી જવામાં સફળતા મળી રહી છે.

