લોકશાહીમાં વિરોધપક્ષની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે, પરંતુ ભાજપ મહારાષ્ટ્રમાં હાલમાં બેજવાબદારીભર્યું વર્તન કરતો હોવાની લાગણી લોકોમાં ફેલાઈ રહી છે. મોદી સરકારે કેબિનેટના વિસ્તરણ દરમિયાન જે નવા પ્રધાનોને સમાવ્યા છે, તેઓ પોતપોતાના વિસ્તારોમાં અને રાજ્યના વિવિધ ભાગોમાં જઈ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે અને મોદી સરકારના કામ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, પરંતુ કોરોનાની મહામારી જોતા તેમની આ યાત્રા સામાન્ય જનતા માટે કેટલી જોખમકારક સાબિત થઈ શકે છે, તે સભાનતા ભાજપના નેતાઓ રાખી રહ્યા નથી. એકલા મુંબઈમાં જ ભાજપની જન આશિર્વાદ યાત્રા વિરુદ્વ 36 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
મુંબઈમાં બે દિવસ સતત નવા કેસનો આંકડો ૨૦૦થી નીચે જતો હતો, પરંતુ શુક્રવારે ફરી શહેરના કેસ ૩૦૦ને પાર ગયા હતા. મુંબઈ ખાતે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની યાત્રા દરમિયાન ભારે ભીડ જામી હતી, લોકોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટંન્સિગ નિયમોના ધજાગરા ઉડી ગયા હતા. આવી જ રીતે ડૉ. ભારતી પવારે તો આદિવાસી વિસ્તારની મહિલાઓ સાથે નૃત્ય કર્યું હતું. આ નૃત્ય દરમિયાન પવાર તો માસ્ક પહેરેલા નજરે ચડ્યા હતા, પરંતુ અહીં ઉપસ્થિત મહિલા-સમર્થકોમાંથી એકે પણ માસ્ક પહેર્યો નહતો. આવા દૃશ્યો તમામ યાત્રા દરમિયાન જોવા મળ્યા હતા.
કેન્દ્ર સરકાર અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને કોરોનાના તમામ નિયમોને અનુસરવાની ભલામણ કરે છે. બીજી લહેર દરમિયાન ઑક્સિજન અને રેમડેસિવિરની અછતના કારણે મહાવિકાસ આઘાડી સરકારને વખોડતો ભાજપ હાલમાં ત્રીજી લહેર લાવવાનું એક કારણ બની રહ્યો છે.
મહાવિકાસ આઘાડીના પક્ષો ભીડ એકઠી કરે છે એનું શું?: ભાજપ
મહાવિકાસ આઘાડી સરકારના ત્રણેય પક્ષોના અલગ અલગ કાર્યક્રમો થતાં રહે છે, યાત્રાઓ, વિરોધ પ્રદર્શનો થતા રહેતા હોય છે ત્યારે કોરોનાનું જોખમ નથી રહેતું, તેવી વળતી ટીકા કરતા ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકોને માસ્ક-સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું, સતત લોકોને નિયમો પાળવાની અપીલ કરી હતી. ત્રીજી લહેર માટે અમને જવાબદાર માનનારી સરકાર પહેલી અને બીજી લહેરની જવાબદારી લે છે? મહારાષ્ટ્રમાં અમારી યાત્રા પહેલા પણ દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયા છે, પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દોષનો ટોપલો અન્યો પર નાખી દે છે. ભાજપના નેતા આશિષ શેલારે આ મામલે નિવેદન આપાવાનો ઈનકાર કર્યો હતો.
શું કરે છે સરકાર?
રાજ્ય સરકારના ત્રણેય પક્ષો કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના ભાજપને વખોડે છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એમ જણાવ્યું હતું કે ભાજપની જન આશીર્વાદ યાત્રા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે, પરંતુ રાજ્ય સરકાર તેમની સામે કોઈ પગલા લેતી નથી. સામાન્ય નાગરિક માસ્ક ન પહેરે તો માર્શલ દ્વારા દંડ વસૂલતી સરકાર ઈચ્છે તો માસ ચેકિંગ દ્વારા આવી યાત્રા કે વિરોધ પ્રદર્શનો દરમિયાન રાજકીય પક્ષ અને કાર્યકર્તાઓને પણ દંડ કરી શકે છે. જોકે, ખુદ સત્તાપક્ષમાં હોવા છતા કૉંગ્રેસે પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના વિરોધમાં ભીડ એકઠી કરી હતી. આ સાથે દિલ્હી ખાતે ખેડૂતોના આંદોલનને અહીંના પક્ષોએ સમર્થન આપ્યું હતું, જે બીજી લહેરના ઘણાં કારણોમાંનું એક માનવામાં આવે છે. બીજી લહેર બાદ બંગાળની ચૂંટણી, કુંભમેળાને વખોડવામાં આવ્યા હોવા છતાં કોરોનાના આંકડા થોડા ઓછા થતાં જ સામાન્ય જનતા સહિત રાજ્કીય પક્ષો પણ બેલગામ થઈ ગયા છે ત્યારે અંતે મહામારીનો ભોગ જનતાએ જ બનવું પડે છે.