આશા પટેલથી શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આશા પટેલ, જવાહર ચાવડા, પરષોત્તમ સાબરીયા બાદ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસની પાંચમી વિકેટ પડી છે. વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી જ સીધું રાજીનામું આપી દીધું છે.
ગુજરાતના રાજકારણમાં હાલ ઊથલપાથલ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યે પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
આ મામલે બોલતા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ‘ભાજપ સામ, દામ, દંડનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષમાં લઈ જઈ રહ્યો છે.’
વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, “વલ્લભ ધારવિયાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તેમણે કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપ્યું નથી. તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે, જેથી હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી.”
ભાજપમાં જોડાયા બાદ વલ્લભ ધારવિયાએ કહ્યું કે મને સત્તાની લાલચ નથી અને આગામી ચૂંટણી લડવાનો નથી.
તેમણે કહ્યું, “ભાજપની સંગઠન શક્તિ છે તે કોંગ્રેસમાં જોવા મળતી નથી. કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. મેં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના હાથ નીચે પણ કામ કર્યું હતું.”
તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ગયા બાદ જ મને ખબર પડી કે પાર્ટીમાં કંઈ નથી. મારો જન્મ જ ભાજપમાં થયો એમ કહેવાય. એટલે હું ઘરે પરત ફર્યો છું.