દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી એક વખત સત્તા મેળવી રહી છે. દિલ્હી ચૂંટણી 2020માં જીત મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન કેજરીવાલે હનુમાનજીનો આભાર માન્યો અને પોતાને દિલ્હીનો પુત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું સમગ્ર દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે ત્રીજી વખત તેમના દિકરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જીત મારી નથી, આ તમામ દિલ્હીવાસીઓની જીત છે. આ દિલ્હીના એ પરિવારની જીત છે, જેમને વીજળી મળવા લાગી છે. આ દરેક એવા પરિવારની જીત છે, જેમના બાળકોને સારૂ શિક્ષણ મળવા લાગ્યું છે. દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે. આ રાજનીતિ એટલે કામની રાજનીતિ. દિલ્હીના લોકોએ સંદેશ આપી દીધો છે કે, વોટ એને જ જે સ્કૂલો બનાવશે. વોટ એને જ જે 24 કલાક વીજળી આપશે, ઘેર-ઘેર પાણી પૂરૂ પાડશે, મહોલ્લા ક્લિનિક બનાવશે. આ રાજનીતિ સારો સંકેત છે.