પ્રવિણ તોગડિયા એ ખુલાસો કર્યો કે એક અજાણ્યા શખ્સ સાથે રીક્ષામાં બેસીને ક્યાંક ગયા હતા. રીક્ષામાં ધીરૂ કપૂરીયા પણ હતા. તેવા અહેવાલ મળી આવ્યા છે. ગુમ થયાના 11 કલાક બાદ તોગડીયા કપૂરિયા પાસે બેભાન અવસ્થમાં મળી આવ્યા હતા. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રારંભિક તપાસમાં શુગર લો થવાથી તેઓ બેભાન થયા હતા. આ સમાચાર મળતાં જ માહોલ ગરમાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મોરબી સહિત અનેક શહેરોમાં વીએચપી કાર્યકરોએ દેખાવો કર્યા હતા. પોલીસની ચાર ટીમ પણ તેમને શોધવા નીકળી હતી અને અમદાવાદની હોટલોની પણ તપાસ કરાઈ હતી. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ સત્તાવારાઓએ જણાવ્યું હતું.
દસ વર્ષ જૂનાં જાહેરનામાના ભંગ માટેના 188 હેઠળના ગુના માટે પ્રવીણ તોગડિયા હાજર નહીં થતાં હોવાથી તેમની સામે વોરંટ નીકળ્યું હતુ.આ વોરન્ટ લઈને ગઈ રાત્રે રાજસ્થાન પોલીસ ગંગાપુરથી નીકળી હતી. બીજી તરફ રાત્રે દોઢ વાગ્યે પ્રવીણ તોગડિયાએ તેમની ઝેડ પ્લસ સિકયુરીટીના જવાનોને કહ્યું હતું કે, આપણે બપોરે અઢી વાગ્યે જવાનું છે, રાત્રે અહીં જ રોકાવાનું છે એટલે તમે કાલે આવજો. વોરંટ લઈને આવેલી રાજસ્થાન પોલીસ સવારે 10.45 વાગ્યે સોલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. બીજી તરફ આ જ સમયે પ્રવિણ તોગડિયા તેમના જાપ્તાનાં કોન્સ્ટેબલ વિક્રમસિંહને અંગતકામે જઉ છું કહી, એક દાઢીવાળા કાર્યકરની સાથે રિક્ષામાં બેસીને ભેદી રીતે નીકળી ગયા હતા. આ સાથે જ અગિયાર કલાક સુધી કશ્મકશ ચાલી હતી. નહેરુનગર સર્કલ પાસેથી ડો. તોગડિયાનો ફોન પણ બંધ થઈ ગયો હતો અને એ સાથે જ એમનું લોકેશન જતું રહ્યું હતું અને અફવાઓનો મારો શરૂ થઈ ગયો હતો.