ગુજરાતના રાજકારણમાં વજુભાઇ વાળાની સૌથી વરિષ્ઠ નેતા તરીકે ગણતરી થાય છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થતા હવે તેઓ રાજકોટમાં પોતાના ઘરે આવી ગયા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના 65માં જન્મદિવસે દિગ્ગજ નેતા વજુભાઇના આશીર્વાદ લીધા હતા. બાદમાં વજુભાઇએ મીડિયાને જણાવ્યું હતું કે ‘સફાયો કરવાનો નથી, ભાજપ પક્ષને આગળ લઇ જવાનો છે. આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે વજુભાઇને ભાજપમાં મહત્ત્વનો હોદ્દો આપવામાં આવે એવી શકયતા છે.
મુખ્યમંત્રી રુપાણીએ પણ કહ્યું કે વજુભાઈ વાળા ભાજપના સિનિયર નેતા છે તેઓ માર્ગદર્શક અને મદદરુપ બનશે અને પાર્ટીને વધુ મજબૂત બનાવશે. તેમના આશિર્વાદ લીધા છે અને આગામી દિવસોમાં તેઓ ગુજરાતમાં ભાજપને માર્ગદર્શન આપતા રહેશે.
વજુભાઈ વાળાની પકડ ક્ષત્રિય સમાજ પર સારી એવી છે. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલી વખત ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ત્યારે રાજકોટના ધારાસભ્ય પદેથી વજુભાઈ વાળાએ રાજીનામું આપ્યું હતું અને સીએમ તરીકે મોદીએ રાજકોટથી જ પહેલી વાર ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી કરી હતી.
આપ અને કોંગ્રેસના હૂમલાને ખાળવા માટે ભાજપ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રને સરખું કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વજુભાઈ ભાજપ માટે ઓબીસી અને ક્ષત્રિય સમાજ માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. ખાસ કરીને કરાડીયા રાજૂપત સમાજની અવહેલનાને લઈ સમાજના લોકો ભાજપ વિરુદ્વ નહીં ઝંપલાવે તેના માટે પાણી પહેલાં પાળ બાંધવામાં આવી રહી છે.