એક પણ રૂપિયાનો ખર્ચ નહીં, છતાં મળ્યું જીવન: RBSKથી કિશોરની સફળ કેન્સર સારવાર
રાજકોટના ખીરસરા ગામના ૧૬ વર્ષીય કિશોર માટે સરકારશ્રીનો ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) જીવનદાન આપનારો સાબિત થયો છે. બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીના નિદાન બાદ, આર્થિક સંકડામણ અનુભવતા પરિવારને સરકારે મફત અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડીને આશાનું નવું કિરણ બતાવ્યું છે. આજે આ કિશોર સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી પોતાના અભ્યાસ અને સપનાઓ તરફ આગળ વધી રહ્યો છે.
શાળામાં તપાસ દરમિયાન થયું નિદાન
કિશોરની શાળામાં જ્યારે આર.બી.એસ.કે.ની ટીમ નિયમિત તપાસ માટે આવી ત્યારે ડોક્ટરોને તેના લક્ષણો અસામાન્ય જણાયા હતા. સતત થાક લાગવો અને રક્તકણો ઘટવા જેવા ચિહ્નોને પારખીને ટીમે ત્વરિત તેને રાજકોટ સિવિલ અને ત્યારબાદ અમદાવાદની આસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ત્યાં છ મહિના સુધી ચાલેલી સઘન સારવારને અંતે તે કેન્સરમુક્ત બન્યો છે.
શું છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)?
લોધિકા તાલુકાના આર.બી.એસ.કે. ડોક્ટર શાહિન અઘામે આ યોજનાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે:
-
વય મર્યાદા: નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો (શાળાએ જતા કે ન જતા) આ યોજનાનો લાભ લઈ શકે છે.
-
સારવારના પ્રકાર: જન્મજાત ખામીઓ, વિકાસમાં વિલંબ, હ્રદયના રોગો, કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓ.
-
નિઃશુલ્ક સુવિધા: પ્રાથમિક તપાસથી લઈને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ સુધીની તમામ સારવાર એકપણ રૂપિયાના ખર્ચ વગર કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં યોજનાની સિદ્ધિ
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ અને લોધિકાની આર.બી.એસ.કે. ટીમ (ડો. મોહિતસિંહ જાડેજા, ખુશ્બુબેન અને નિખિલભાઈ) ના સંયુક્ત પ્રયાસોથી આ કિશોરને નવું જીવન મળ્યું છે. નોંધનીય છે કે, હાલ રાજકોટ જિલ્લામાં કુલ ૪૨ બાળકો કેન્સરની નિઃશુલ્ક સારવાર આ યોજના હેઠળ લઈ રહ્યા છે.
સિલાઈકામ કરી ગુજરાન ચલાવતા પિતા માટે લાખો રૂપિયાની આ સારવાર અશક્ય હતી, પરંતુ સરકારી યોજનાના પ્રતાપે તેમનો દીકરો આજે ધોરણ ૧૧માં નામાના મૂળતત્વો અને આંકડાશાસ્ત્ર જેવા મનપસંદ વિષયો ભણી રહ્યો છે.
