ગુજરાતમાં સૌરાષ્ટ્ર સ્થિત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું આગામી તા.15 મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને રન-વે ટેસ્ટિંગ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી તેને પ્રગતિની નવી ઉડાન ગણાવી હતી.
તેઓએ માહિતી આપી હતી કે હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટર અને 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને ગુજરાત રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે.
મહત્વનું છે કે વર્ષ 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોને કારણે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ હોવાથી અન્ય રાજકોટ શહેર હદ બહાર એક મોટા એરપોર્ટની જરૂર હતી જે હવે પૂર્ણ થઈ છે જેનું પીએમ મોદી લોકાર્પણ કરશે.