આજે મોહરમ પર્વની રાજ્યમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયા ઉપાડતી વખતે PGVCLની વીજલાઈનમાં તાજિયા અડી જતાં 26 જેટલા લોકોને આ કરંટ લાગતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.
આ ઘટનામાં બે ના કરૂણ મોત થયા છે.
મૃતકોમાં સાજીદ જુમા શંધી અને જુનેદ હનીફ માંજોઠીનો સમાવેશ થાય છે બે વ્યક્તિના મોત નીપજતા શોકનો માહોલ છવાયો છે.
કરંટ લાગતા દાઝી ગયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ અને કેટલાક દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, આજે સવારે ઝારખંડમાં પણ આવો એક ગમખ્વાર અકસ્માત બન્યો છે. ઝારખંડમાં બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે.