ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદની સ્થિતિ છે ત્યારે રાજકોટના લોધિકામાં 16 જેટલા વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા અને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીના 15000 બોક્સ પલળી જતા કેરી સસ્તામાં આપી દેવા ખેડૂતો મજબૂર બન્યા હતા.
રાજકોટના લોધિકા પંથકમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે પીજીવીસીએલના વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. નગરપીપળિયા ફીડરમાં આવતા અંદાજે 16 જેટલા વીજપોલ અને 1 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું હતું. તેજ ગતિથી પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વીજપોલ પણ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચતા કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ દ્વારા નુકસાનીવાળા વિસ્તારનો સરવે કરવામાં આવ્યો હતો અને ટેક્નિકલ ટીમ દ્વારા વીજપોલ ઊભા કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વરસાદમાં કેરીના બોક્સ પલળી ગયા હતા જેને લઈ ખેડૂતોએ વરસતા વરસાદ વચ્ચે હરાજી કરવાની ફરજ પડી હતી, જૂનાગઢ પંથકમાં અચાનક જ વરસાદ ખાબકતા આંબાના બગીચાઓની કેરીઓ જમીનદોસ્ત થઈ હતી,આ વચ્ચે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવેલા કેરીના 15 હજારથી બોક્સ પલળી જતા ખેડૂતો એ નફા ની પરવા કર્યા વગર જે આવે તે રકમમાં કેરી સસ્તામાં વેચી રવાના થયા હતા.