રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ત્રિપાંખ સાધુ સમાજનું સમર્થન મળ્યું છે જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
રાજકોટના રેસકોર્સમાં આગામી તા.1 અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને તેઓ સનાતન ધર્મના પ્રેરક હોવાનું ગણાવી લોકોને આ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરી છે.
આજે સાધુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બાગેશ્વર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ તકે સાધુ સમાજના આગેવાન હસુગિરિબાપુએ જણાવ્યું હતું કે દશનામ સાધુ સમાજ, અતીત રામાનંદી સમાજ અને માર્ગી સાધુ સમાજ એમ ત્રણેય મળી ત્રિપાંખ સાધુ સમાજનું ધીરેન્દ્ર શાસ્ત્રીને સંપૂર્ણ સમર્થન છે. બાગેશ્વરબાબા સનાતન ધર્મનો પ્રચાર કરતા હોવાથી સાધુ સમાજ દ્વારા તેમને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જરૂરી મદદ પણ ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પૂરી પાડવામાં આવશે.
જ્યારે બીજી તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વિરોધ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુ ધર્મને અમે પણ માનીએ છીએ, પરંતુ બાબા દ્વારા રોગીઓને સાજા કરવા, લોકોના મનની વાત જાણવા સહિતના દાવાઓ કરવા જેવી અંધશ્રદ્ધા સામે અમારો સ્પષ્ટ વિરોધ છે. આવું કરી તેઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેમજ હજુ સંસદમાં પણ હિંદુ રાષ્ટ્રના મુદ્દે કોઈ કાર્યવાહી થઈ ન હોવા છતાં તેઓ હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી વાતાવરણ ડામાડોળ કરે છે. આવી તમામ બાબતો સામે અમને વાંધો છે અને તેમની સામે FIR દાખલ કરવામાં આવે એવી પણ અમારી માગ છે.
આમ,રાજકોટમાં બાબાને સમર્થન પણ મળી રહ્યું છે અને કેટલાક વિરોધ પણ કરી રહયા છે.