રાજકોટમાં પાલિકામાં વિપક્ષના માત્ર 2 કોર્પોરેટર હોવાથી કચેરીમાં ખાતે આવેલ વિપક્ષ કાર્યાલય શાસકપક્ષ દ્વારા પરત લેવામાં આવતા અને વિપક્ષ નેતાની કાર પણ છીનવી લેવામાં આવતા આખરે આજે સવારે વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણી આજે સામાન્ય નાગરિકની જેમજ રીક્ષામાં કચેરી ખાતે આવ્યા હતા અને પાલિકાના બગીચામાં કાર્યાલય ખોલી લોકોની ફરિયાદ સાંભળી હતી.
ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના રાજમાં ચાલતા ભ્રષ્ટાચાર અમે ખુલ્લા પાડવાનું કામ કરતા ભાજપે અમારી પાસેથી કાર્યાલય અને કારની સુવિધાઓ છીનવી લીધી છે. અમે કાર્યાલયનાં બદલે બેસવા માટેની જગ્યા માંગી હતી. પરંતુ તે પણ નહીં આપવામાં આવતા અહીં બગીચામાં બેસીને લોકોની ફરિયાદ સાંભળવાનું શરૂ કર્યું છે. હું લોકોની ચૂંટાયેલી પ્રતિનિધિ છું. ત્યારે લોકો સરળતાથી મારો સંપર્ક કરી શકે તે અત્યંત જરૂરી હોવાથી બગીચામાં લોકોની વચ્ચે બેસીને તેના પ્રશ્નો સાંભળી રહી છું. જોકે અહીં પણ બેસવા માટે મને મંજૂરી લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ લોકોની સેવા કરવા માટે મારે કોઈ મંજૂરીની જરૂર નથી.