આજકાલ ભરોસાનો જમાનો રહ્યો નથી અને નજીકના જ મિત્રો અને સબંધીઓ વિશ્વાસ તોડતા હોવાના બનાવો વધ્યા છે ત્યારે વધુ પડતા વિશ્વાસે રાજકોટના વેપારીનો ભોગ લીધો છે જેમાં તેમના જ મિત્રોએ કરોડોની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પરની બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ગોપાલભાઇ રાજાણી (ઉ.વ.57)એ ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત સોરઠ પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં અંદરથી દરવાજો બંધ કરી ફાંસો ખાઇ આત્મહત્યા કરવાના બનાવમાં મૃતક વેપારીના બે મિત્રોએ પાંચ વર્ષમાં બમણી રકમ કરી દેવાની લાલચ આપી 8.50 કરોડની છેતરપિંડી કરતા વેપારીએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
વેપારી ચેતનભાઇ દોરડા અને નોટબુકનો વેપાર કરતા હતા.
ગુરૂવારે પરિવારજનોએ અનેક ફોન કરવા છતાં તેઓએ ફોન રિસીવ નહિ કરતા તેમના પુત્ર અને પત્ની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં ઓફિસની બહાર ચેતનભાઇના બૂટ પડ્યા હતા અને ઓફીસ બંધ હતી જે અનેક વખત ખટખટાવવા છતાં અંદરથી કોઇ પ્રતિસાદ નહીં મળતાં બારણાનું લોક તોડીને દરવાજો ખોલતાં ચેતનભાઇનો પંખે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો અને સુસાઈડ નોટ મળી આવી હતી.
આ દ્રશ્ય જોઈ પરિવાર જનો આઘાતમાં સરી પડ્યા હતા.
આ ઘટના અંગે મૃતક વેપારીના પુત્ર પલાસ રાજાણીએ એ-ડિવિઝન પોલીસમાં અમદાવાદના શારદા મંદિર રોડ પર આવેલી હરિકૃપા ટાઉનશીપમાં રહેતા રાજેશ ગોસલિયા અને રાજકોટના અમીત ગોકાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પલાસ રાજાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ચેતનભાઈ રાજાણીના આપઘાતની ઘટના બાદ ઓફિસમાં તપાસ કરતા ચેતનભાઈએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ચેતનભાઈના જૂના મિત્ર અમદાવાદ રહેતા રાજેશ ગોસલિયાએ વર્ષ 2018-19 માં રાજેશભાઈ પાસેથી રૂ. 7 કરોડ લીધા હતા.
વધુમાં ઉમેર્યું કે, સ્ટોક માર્કેટ ટ્રેડિંગનું કામ કરતા રાજેશ ગોસલિયાએ જાન્યુઆરી 2023 માં 7 કરોડના બદલામાં ચેતનભાઈને રૂ.15 કરોડ આપવાની ખાતરી આપી હતી.
તેમજ રાજકોટના અમીત ગોકાણીએ રૂપિયા દોઢ કરોડ લીધા હતા અને 2023 માં ત્રણ કરોડ આપવાની ખાતરી આપી હતી.
જાન્યુઆરી માસ પૂરો થયા બાદ ચેતનભાઈએ તેના બન્ને મિત્રો પાસે નાણાની ઉઘરાણી કરી હતી. પરંતુ બન્નેએ રકમ આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા.
નોટબુક્સ એક્સપોર્ટ કરવાનો વ્યવસાય કરતા ચેતનભાઈ રાજાણીને ધંધા માટે નાણાની જરૂરિયા ઊભી થતા બન્ને મિત્રો પાસે અનેક વખત ઉઘરાણી કરવા છતાં તેમને પૈસા પરત મળ્યા ન હતા અને ધંધા માટે અન્ય લોકો પાસેથી નાણા લેવાની વેળા આવી હતી.
પોલીસે સ્યૂસાઈડ નોટના આધારે આરોપીઓની શોધખોળ આદરી
ચેતનભાઈ રાજાણીએ સ્યુસાઈડ નોટ લખી હતી તે બુકમાં પોતાના આર્થિક વ્યવહારોની પણ નોંધ કરી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી સ્યૂસાઈડ નોટ સહિતના પુરાવાના આધારે અમદાવાદના રાજેશ ગોસલિયા અને રાજકોટના અમીત ગોકાણી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.