સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડતાં જળ સંકટ દૂર ઠેલાઈ ગયું છે અને સર્વત્ર પાણીથી ડેમ ભરાઈ ગયા છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ નજીક આવેલ ફોફળ 1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જળાશયની ભરપૂર સપાટી 81.75 મીટર છે અને હાલ 1.6 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમમાં 5750 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસના જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા અને ધોરાજીના વેગડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જ્યારે જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ માં પાણીની આવક વધતા 3 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા છે.
આ સિવાય જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ નજીક આવેલ મોજ ડેમમાં તેમજ ગધેથડ ગાયત્રી આશ્રમ પાસે આવેલા વેણુ-2 ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જેને લઈને લોકોને સતર્ક રહેવા અને નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી જવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી અને ગ્રામ પંચાયત સહિતના સ્ટાફને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
ઉપરાંત જસદણ તાલુકાના કરણુકી ડેમમાં નવા પાણીની જોરદાર આવક ચાલુ થતા ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપપુર સહિતના ગામમાં વરસાદના કારણે દરવાજા ખોલવામાં આવતા નજીકના જીવાપર, પીપળીયા, પ્રતાપપુર ગામના લોકોને નદી કાંઠે અવર જવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે અને તંત્ર સતર્ક થઈ ગયુ છે.