ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે રાજકોટ ની મુલાકાત દરમ્યાન ધડાકો કર્યો કે જો પારદર્શક તપાસ થાય તો રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂ.1 હજાર કરોડનો તોડ કર્યાનું ખુલે તેમ છે.
પોલીસ કમિશનર માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કામ કર્યું છે.
મનોજ અગ્રવાલે પોતાના પાલતુ શ્વાનનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું હોવાનું જણાવી હાર્દિક પટેલે કહ્યું કે આ બંધારણથી વિરૂદ્ધ ગણાય.
આ શ્વાનનો બર્થડે અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાય છે. બર્થડે હોય ત્યારે પોલીસ અધિકારીઓ શ્વાનના પગમાં 50 લાખ સુધીના સોનાના દાગીના પહેરાવતા હોવાનું પણ હાર્દિક પટેલે જણાવ્યુ હતુ.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ તોડ કર્યાની અનેક ફરિયાદો સામે આવી છે અને ખુદ ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ દ્વારા ફરિયાદ થઈ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાર્દિક પટેલે ઉમેર્યું કે ખુદ પોલીસ કમિશનર જ ભ્રષ્ટાચાર કરતા હોય તો તેની સામે કેમ કડક પગલાં લેવાતા નથી તો શું પોલીસ કમિશનર હવાલા લઈ ભ્રષ્ટાચારના રૂપિયા પાટીલ સાહેબ, પટેલ સાહેબ કે રૂપાણી સાહેબને પહોંચાડતા હતા તેવો પણ સવાલ ઉઠ્યો છે. આમ હાર્દિક પટેલે રાજકોટ પોલીસ અને સરકાર ની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા.