વલસાડ : છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકારની કાળાં નાણાંને કાબુમાં લેવાની ઝુંબેશમાં હવે રાજ્ય સરકાર પણ જોડાઇ છે.રાજ્ય સરકારે પ્રોપર્ટીની લે-વેચ દ્રારા થતો કાળાં નાણાંનો વ્યવહાર રોકવા માટે કડક નિયમો બનાવવાની શરૂઆત કરી છે.રાજ્યમાં જમીનમિલકતોની લે-વેચમાં કરોડોનો વ્યવહાર રોકડમાં થાય છે. જેમાં જંત્રી આધારે ચૂકવાતા રૂપિયા ચેકથી ચૂકવાતા હોય છે અને ઉપરની રકમ મોટાભાગે કેશથી આપવામાં આવે છે. પણ હવે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે કેશના આ વ્યવહારને અટકાવી કાળા નાણાં પર લગામ કસવા પહેલ કરી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 20 હજાર રૂપિયાથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવી હોય તેવા વેચાણ દસ્તાવેજોની નોંધણી બંધ કરી દેવામાં આવી છે. જે અંગેના બોર્ડ પણ દરેક સબ રજિસ્ટ્રાર કચેરીએ ચોંટાડી દેવામાં આવ્યા છે. એટલે હવે જો તમે કોઈ મિલકત ખરીદતી વખતે વેચનારને હજારથી વધુ રૂપિયા રોકડા આપ્યા હશે અને તે વ્હાઈટના હશે તો પણ દસ્તાવેજની નોંધણી નહીં થાય.
આ સ્થિતિથી બચવા તમારે કોઈપણ મિલકત ખરીદતી વખતે 20 હજારથી વધુ રૂપિયાનો વ્યવહાર ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જ કરવો પડશે.
આમ તો કેન્દ્ર સરકારે વર્ષ 2015 માં જાહેર કરેલા બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આ વ્યવસ્થાનો અમલ કરવાનો હતો પરંતુ બે વર્ષ સુધી આ દિશામાં કોઈ અસરકારક પગલાં લેવાયા ન હતા પણ આખરે હવે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તબક્કાવાર અમલ શરૂ કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોઈપણ જમીન કે મિલકતનો વેચાણ દસ્તાવેજ થાય ત્યારે તેમાં વેચનાર અને ખરીદનાર વચ્ચે થયેલો કરાર હોય છેજેમાં અવેજની રકમ કેવી રીતે ચૂકવાઈ તેનો ઉલ્લેખ કરાયેલો હોય છે. આ વેચાણ દસ્તાવેજની રકમના આધારે સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી વસુલવામાં આવે છે.
પણ હવે નવા નિયમો પ્રમાણે જ્યારે વેચાણ દસ્તાવેજમાં અવેજની રકમમાં 20 હજારથી વધુની રકમ જો રોકડથી ચૂકવાઈ હશે તો સબ રજિસ્ટ્રાર કચેરી વેચાણ દસ્તાવેજની નોંધણી કરવાની મનાઇ કરશે એટલે ફરજિયાત અવેજની તમામ રકમ રોકડને બદલે ચેકથી ચૂકવવી પડશે અને જેનો ઉલ્લેખ વેચાણ દસ્તાવેજમાં કરવાનો રહેશે.