“વર્લ્ડ કપ માત્ર રમવા માટે નથી, ટ્રોફી જીતવા માટે છે” રોહિત શર્માના નિવેદનથી અનેક અટકળો પર પૂર્ણવિરામ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદથી જ ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે શું હવે તેઓ વનડે ક્રિકેટને પણ અલવિદા કહેશે? પરંતુ તાજેતરમાં આપેલા તેમના નિવેદનથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે રોહિત શર્માનો ફોકસ હવે 2027ના વનડે વર્લ્ડ કપ પર છે અને તેઓ તે ટુર્નામેન્ટ રમવાની મજબૂત ઈચ્છા ધરાવે છે.
હાલ સમગ્ર ક્રિકેટ વિશ્વનું ધ્યાન ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 પર કેન્દ્રિત છે. પરંતુ તેની પાછળથી જ ટીમો 2027ના વનડે વર્લ્ડ કપ માટે પોતાની તૈયારી શરૂ કરી ચૂકી છે. ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં 2024માં T20 વર્લ્ડ કપ અને 2025ની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો ગૌરવ મેળવ્યો હતો. હવે રોહિતનું આગળનું લક્ષ્ય દેશ માટે વનડે વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું છે.
રોહિત શર્માનો ટાર્ગેટ ફિક્સ
ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ બાદ રોહિત હવે માત્ર વનડે ફોર્મેટમાં ખેલાડી તરીકે ટીમનો ભાગ છે. જોકે, છેલ્લા થોડા સમયથી તેમની વનડેમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓ તેજ બની રહી હતી. પરંતુ ICCના એક કાર્યક્રમ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રોહિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું ચોક્કસપણે મારા દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગું છું. આ હંમેશાં મારું સ્વપ્ન રહ્યું છે.”
રોહિતે જણાવ્યું કે તેઓએ બાળપણથી 50 ઓવરના વર્લ્ડ કપને જોઈને ક્રિકેટ શીખ્યું છે. તે સમયે ન તો T20 વર્લ્ડ કપ હતો અને ન તો IPL. ચાર વર્ષે એકવાર યોજાતો વનડે વર્લ્ડ કપ જ ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવતો. “અમે બધા તે ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોતા. તે એક જ ટ્રોફી એટલી મહત્વપૂર્ણ લાગતી કે તેને જીતવાની લાગણી અલગ જ હતી. આજે પણ મારા મનમાં તે જ જુસ્સો છે,” એમ રોહિતે ઉમેર્યું.
તેમણે વધુમાં કહ્યું કે ટ્રોફી જીતવી એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. “વર્લ્ડ કપ માત્ર ભાગ લેવા માટે નથી, પરંતુ જીતવા માટે છે. હું મારી શ્રેષ્ઠ કોશિશ કરીશ કે 2027માં ભારત ફરી વિશ્વવિજેતા બને,” એમ હિટમેન રોહિતે વિશ્વાસ વ્યક્ત કર્યો.
ફિટનેસ પર ખાસ ધ્યાન
છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. મેદાન પર તેમની ચપળતા અને ઊર્જા સ્પષ્ટ દેખાઈ રહી છે. ભલે જ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં તેમનું બેટિંગ પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહ્યું હોય, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં તેમણે ઉત્તમ રમત બતાવી હતી.
T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાની તૈયારી ફરી એકવાર 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શરૂ થશે. આ દરમિયાન ભારતીય ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર અગામી વનડે શ્રેણી રમવાની છે, જે ટીમની તૈયારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રોહિત શર્માના તાજા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હજુ પણ મોટી મંચ પર ભારત માટે ગૌરવ મેળવવા માટે પ્રતિબદ્ધ છે. હવે નજર રહેશે કે શું 2027માં રોહિત પોતાના સ્વપ્નને સાકાર કરી શકશે અને ભારતને ફરી એકવાર વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી શકશે?

