સમાજના કોઈ પણ ફંક્શનમાં સ્ટેજ પર બેઠેલા લોકો મોટા મોટા ભાષણો કરે છે. તેનાથી સ્ટેજની સામે બેઠેલા લોકો કેટલા હેરાન થાય છે એની ભાષણ કરવા વાળાઓને ખબર નથી હોતી. આ બાબતને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં કહ્યું હતું કે સ્ટેજ પર બેઠેલા અનેક લોકો એક પછી એક ભાષણ કરે છે અને આ ભાષણો એટલા મોટા હોય છે કે લોકો કંટાળી જાય છે. બહું લાંબુ ભાષણ થાય તો શું થાય? લોકો નાછુટકે બેઠા હોય, કોઈ પ્રેમથી બેઠું હોય, કોઈ દબાણથી બેઠું હોય મેં પણ સ્ટેજની સામે બેસવાની તકલીફ ભોગવેલી છે. એટલે હું હંમેશા સામે વાળાનો જ વિચાર કરીને જ ચાલું છું. જેથી સમાજના પ્રસંગોમાં વધારે લાંબા નહીં પણ વધારેમાં વધારે એકથી દોઢ કલાકના હોવા જોઈએ. હોવા
તેમણે કહ્યું હતું કે, નાનામાં નાના માણસને ઓછી તકલીફ પડે એવી રીતે મારે કામ કરવું છે. નાનો માણસ ધક્કે ચઢે તો એ કેટલી તકલીફમાં મુકાય છે એતો એ જ જાણતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જગાડવા માટે મળે તો અમને કોઈ વાંધો નથી. અમારે તો સમાજ અને પ્રજાનું સારુ થાય એવો જે રસ્તો બતાવે, એમાં સાથી પક્ષના મિત્રો હોય, સમાજના લાકો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય પણ એમની વાતમાં સમાજનું ભલું થતું હોય તો એ કામ કરવા માટે હું અને મારી ટીમ તૈયાર છીએ.શિક્ષણ, મેડિકલ, ઉદ્યોગ, કૃષિ કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં ઓછામાં ઓછી તકલીફો અને દરેક જણ સારી રીતે કામ કરી શકે તેવી રીતે કામ કરવાનું છે. શબ્દોની માયાજાળમાં ક્યાંક કશું અટવાતું હોય એ દુર કરીને આગળ વધવા માટેનો અમારો પ્રયત્ન છે. આપણા સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પાટીદાર સમાજની જેમ દરેક સમાજો દ્વારા આજે શિક્ષણ ક્ષેત્રે સારુ કામ ચાલી રહ્યું છે. એટલે જ દેશમાં ગુજરાત આજે નંબર વન છે.
હું આજે અહીં આવ્યો અને બધાએ મને દાદા કહીને બોલાવ્યો, ત્યારે બધાને મારે દાદા તરીકે એક વાર્તા કહેવી છે. દાદાની વાર્તા સાંભળવી જોઈએ. આપણે જ્યારે વૃક્ષા રોપણ કરતાં હોઈએ ત્યારે છોડમાં રણછોડ એમ કહીએ છીએ. પરંતુ આપણને એકબીજામાં રણછોડ નથી દેખાતો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું પડે. જો આપણને એકબીજામાં રણછોડ દેખાય તો ઘણા પ્રકારના પ્રોબ્લેમનું નિરાકરણ થઈ જાય. ઝગડા, કકળાટ, અદેખાઈ હરિફાઈ જેવું કશું રહે જ નહીં. તેમણે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને સંબોધીને ટીખળ કરતાં કહ્યું હતું કે, એમાંય જો મને અને પરેશભાઈને એકબીજામાં રણછોડ દેખાય તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. આપણે આત્મનિર્ભર ભારતની જેમ આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે.