સૂર્યગ્રહણ બનાવશે ત્રિકા ગ્રહણ યોગ: સિંહ, ધનુ અને કુંભ રાશિના લોકો માટે નાણાકીય જોખમની ચેતવણી
વર્ષ ૨૦૨૬નું અંતિમ સૂર્યગ્રહણ આગામી ૧૨ ઓગસ્ટના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, આ ખગોળીય ઘટના બુધના પ્રભાવ હેઠળ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં આકાર લેશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણની અસરોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ સૂર્યગ્રહણ મુખ્યત્વે ત્રણ રાશિઓના ‘ત્રિક ભાવો’ (છઠ્ઠા, આઠમા અને બારમા ભાવ) ને સક્રિય કરી રહ્યું છે. જ્યોતિષમાં આ ત્રણેય ભાવોને અશુભ ગણવામાં આવે છે, જેના કારણે સિંહ, ધનુ અને કુંભ રાશિના જાતકોએ પોતાની કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવધાની રાખવી પડશે.
સિંહ રાશિ: ૧૨મા ભાવમાં ગ્રહણથી બજેટ ખોરવાશે
સિંહ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ તેમના ૧૨મા ભાવમાં થવા જઈ રહ્યું છે, જે મુખ્યત્વે અણધાર્યા ખર્ચ, નુકસાન અને માનસિક તણાવનું કારક ગણાય છે. આ સમયગાળા દરમિયાન બજેટ બહારના ખર્ચાઓ વધી શકે છે, તેથી નાણાકીય નિર્ણયો ખૂબ જ વિચારીને લેવા. વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા અથવા વિદેશ વ્યાપાર કરતા લોકોએ પોતાના કામકાજમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, અન્યથા મોટી ભૂલો થઈ શકે છે. પારિવારિક જીવનમાં વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો જીવનસાથી સાથે મનમુટાવ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ અનિદ્રા, માથાનો દુખાવો કે આંખની સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
-
ઉપાય: નિયમિત રીતે સૂર્ય મંત્રોનો જાપ કરવો અને યોગ-ધ્યાનનો સહારો લેવો.
ધનુ રાશિ: ૮મા ભાવમાં ગ્રહણથી કામકાજમાં અચાનક અડચણો
ધનુ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ ૮મા ભાવમાં થશે, જેને દીર્ઘાયુષ્ય, અણધારી મુશ્કેલીઓ અને ગુપ્ત સિક્રેટ્સનો ભાવ માનવામાં આવે છે. આ અસરોને કારણે ચાલુ કામકાજમાં અચાનક અવરોધો આવી શકે છે. વેપાર કે કરિયરમાં કોઈ નવા પ્રયોગો અથવા મોટું મૂડીરોકાણ કરવાનું હાલ પૂરતું ટાળવું હિતાવહ છે. કોઈપણ નાણાકીય લેવડ-દેવડ વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. મુસાફરી દરમિયાન કિંમતી સામાન ચોરાઈ જવાની શક્યતા છે. સામાજિક જીવનમાં ખરાબ સંગતથી દૂર રહેવું, વાહન અત્યંત સાવચેતીપૂર્વક ચલાવવું અને માનસિક તણાવ દૂર કરવા પ્રાણાયામ કરવા.
-
ઉપાય: ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શુભ રહેશે.
કુંભ રાશિ: ૬ઠ્ઠા ભાવમાં ગ્રહણથી છુપા શત્રુઓથી જોખમ
કુંભ રાશિના લોકો માટે આ ગ્રહણ ૬ઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે, જે રોગ, ઋણ અને શત્રુઓનો ભાવ છે. કાર્યસ્થળ પર ગુપ્ત વિરોધીઓ અથવા સ્પર્ધકો તમારા કામને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સહકર્મચારીઓ સાથે બિનજરૂરી વાદ-વિવાદથી બચવું. વ્યાપારીઓએ ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેવા. મોસાળ પક્ષના સગા-સંબંધીઓ સાથે વાતચીત કરતી વખતે ભાષાની મર્યાદા જાળવવી. આરોગ્ય બાબતે પેટ અને લોહી સંબંધિત તકલીફો ઊભી થઈ શકે છે, જેના માટે રોજિંદી કસરત કરવી જરૂરી છે.
ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા હનુમાનજીના મંત્રોનો જાપ કરવો.