ઢોલ-ત્રાસાના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે સોમનાથમાં સ્વાભિમાન પર્વની પાલખી યાત્રા યાદગાર બની
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શુક્રવારે કાઢવામાં આવેલી ભવ્ય રેવાડીમાં સમગ્ર સોમનાથ નગરી શિવમય બની ગઈ હતી. આ પાલખી યાત્રામાં રાજ્યના ખૂણેખૂણેથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ભગવાન સોમનાથની પાલખીના દર્શન કરવા માટે માર્ગની બંને બાજુએ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર માહોલ એક લોકોત્સવ જેવો ભાસતો હતો.
પચાસ કલાકારોએ જમાવી અનોખી રમઝટ
આ રેવાડીનું મુખ્ય આકર્ષણ ઢોલ અને ત્રાસાના કલાકારોનું પર્ફોર્મન્સ રહ્યું હતું. લગભગ 50 જેટલા કુશળ કલાકારોએ પરંપરાગત સંગીત અને લયબદ્ધ તાલ સાથે એવી પ્રસ્તુતિ કરી કે માર્ગમાં ચાલતા મુસાફરો પણ ઝૂમી ઉઠ્યા હતા. કલાકારોનો ઉત્સાહ એટલો બધો હતો કે સતત અને વેગીલા વાદનને કારણે ત્રણ ઢોલ પણ ફાટી ગયા હતા. આ ગુંજતા નાદે ઉપસ્થિત તમામ લોકોમાં એક નવો ઉર્જાનો સંચાર કર્યો હતો.
શિવના નાદ સાથે ગુંજી ઉઠી સોમનાથ નગરી
પાલખી યાત્રા દરમિયાન ભક્તો દ્વારા કરવામાં આવેલા જય શિવશંકર અને હર હર મહાદેવના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું. સનાતન સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવતા આ કાર્યક્રમમાં સંગીત અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ઢોલ-ત્રાસાના તાલ પર નાચતા-ગાતા ભક્તોએ સોમનાથની ધરતી પર આધ્યાત્મિક આનંદની હેલી લાવી દીધી હતી જે લાંબા સમય સુધી લોકોના સ્મરણમાં રહેશે.
સાસ્કૃતિક વારસાની ભવ્ય ઝાંખીના દર્શન
સોમનાથ સ્વાભિમાન પર્વની આ રેવાડીએ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. કલાકારોની એકીકૃત પ્રસ્તુતિ અને શ્રદ્ધાળુઓના અવિરત ઉત્સાહને કારણે આ પાલખી યાત્રા એક યાદગાર પ્રસંગ બની રહી હતી. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના આ સંગમે પવિત્ર સોમનાથ તીર્થની દિવ્યતામાં વધારો કર્યો હતો અને ઉપસ્થિત પ્રત્યેક નાગરિકને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે પહોંચાડ્યા હતા.

