વર્લ્ડ કપના હીરો સંજુ સેમસન પર શ્રીકાંત ફિદા, કહ્યું- પંજાબ સામેની મેચમાં સંજુ ફોર્મમાં પરત ફરશે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે સંજુ સેમસનનું જોરદાર સમર્થન કર્યું છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે પંજાબ કિંગ્સ (PBKS) સામેની આગામી મેચમાં સેમસન વિસ્ફોટક બેટિંગ કરીને વિરોધી ટીમના છોતરાં ફાડી નાખશે. આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહેલા સેમસન માટે શરૂઆત સારી રહી નથી, પરંતુ શ્રીકાંતને તેની ક્ષમતા પર પૂરો ભરોસો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં સેમસન માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, શ્રીકાંતનું માનવું છે કે ચેપોકનું મેદાન સેમસન માટે નસીબદાર સાબિત થશે. તેમણે યાદ અપાવ્યું કે આ એ જ મેદાન છે જ્યાં સેમસને T20 વર્લ્ડ કપ દરમિયાન શાનદાર વાપસી કરીને ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ જીત્યો હતો. શ્રીકાંતે સલાહ આપી છે કે શરૂઆતની થોડી બોલ રમ્યા બાદ સંજુએ આક્રમક વલણ અપનાવવું જોઈએ.
શ્રીકાંતે વધુમાં ઉમેર્યું કે જો સેમસન એકવાર લયમાં આવી જશે, તો પંજાબના બોલરો પાસે તેનો કોઈ જવાબ નહીં હોય. ગત મેચમાં CSKની બેટિંગ લાઇનઅપ પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી અને ટીમ માત્ર 127 રન જ બનાવી શકી હતી. પરંતુ હવે પંજાબ સામેની મેચ હાઈ-સ્કોરિંગ રહેવાની આશા છે. શ્રીકાંતના મતે, જે ટીમ 220 રનનો આંકડો પાર કરશે તેના જીતવાની શક્યતા વધુ છે અને સેમસનનું ફોર્મમાં આવવું CSK માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
