IPL 2026: સતત બે હાર પછી ચેન્નાઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે તોડ્યું મૌન, સંજુ સેમસનના ખરાબ ફોર્મ અંગે આપી મોટી પ્રતિક્રિયા
આઈપીએલ 2026ની સીઝનમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. રવિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે મળેલી હાર બાદ સીએસકેના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ સીઝનમાં સીએસકેની આ સતત ત્રીજી હાર છે. ખાસ કરીને ટીમનું બોલિંગ આક્રમણ અને સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનનું ફોર્મ ચર્ચાનો વિષય બન્યું છે. આ તમામ મુદ્દાઓ પર ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલીને વાત કરી છે.
RCB સામે બોલરોનો ધબડકો
બેંગલુરુ સામેની મેચમાં ચેન્નાઈના બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા આરસીબીના બેટ્સમેનોએ સીએસકેના બોલિંગ એટેકની ધજ્જિયા ઉડાવી દીધી હતી અને 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 250 રનનો પહાડ જેવો સ્કોર ખડો કર્યો હતો. વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 19.4 ઓવરમાં 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર બાદ ટીમની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
સંજુ સેમસનના ફોર્મ પર શું બોલ્યા ફ્લેમિંગ?
સંજૂ સેમસન આ સીઝનમાં ચેન્નાઈ માટે ‘યેલો જર્સી’માં રમી રહ્યો છે, પરંતુ સતત બે ઇનિંગ્સમાં તે ફ્લોપ સાબિત થયો છે. તેના ખરાબ ફોર્મ અંગે સોશિયલ મીડિયા પર ટીકાઓ થઈ રહી છે, પરંતુ સ્ટીફન ફ્લેમિંગે તેનો બચાવ કર્યો છે. ફ્લેમિંગે કહ્યું, “T20 ક્રિકેટમાં સ્થિતિ ખૂબ ઝડપથી બદલાય છે. જ્યારે કોઈ બેટ્સમેન લયમાં હોય છે, ત્યારે તે અત્યંત ખતરનાક સાબિત થાય છે. સંજુ જ્યારે અમારી ટીમ સાથે સફર કરી રહ્યો છે, ત્યારે તેને અમારો સંપૂર્ણ ટેકો અને આત્મવિશ્વાસ મળશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “સંજુ જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે તે એકલો મેચ વિનર સાબિત થાય છે. માત્ર બે ઇનિંગ્સના આધારે કોઈ ખેલાડીની ક્ષમતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. અમને ખાતરી છે કે તે ટૂંક સમયમાં જ શાનદાર વાપસી કરશે.”
નવા ખેલાડીઓ અને ભવિષ્યની તૈયારી
ચેન્નાઈ સુપર કિંગ્સે આ સીઝનમાં પ્રશાંત વીર અને વિકેટકીપર કાર્તિક શર્મા જેવા અનકેપ્ડ (જેઓ હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી) ભારતીય ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી છે. આ નિર્ણય માટે ફ્લેમિંગની ટીકા પણ થઈ હતી. તેના જવાબમાં ફ્લેમિંગે સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર જાણીજોઈને કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, “અમે ફ્રેન્ચાઈઝીના ભવિષ્ય માટે મજબૂત પાયો નાખવા માંગીએ છીએ. અમારી પાસે અત્યારે ઘણી સારી પ્રતિભા છે. આ સીઝનમાં પાંચ-છ નવા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે, જેઓ આવનારા સમયમાં સીએસકે માટે મહત્વના સાબિત થશે. અત્યારે ટીમ ઘડાઈ રહી છે અને સમય જતાં તે વધુ મજબૂત બનશે.”
બોલરો પર વધતું દબાણ અને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ રૂલ
સીએસકેના નબળા બોલિંગ પ્રદર્શન અંગે પૂછવામાં આવતા ફ્લેમિંગે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નિયમ લાગુ થયા પછી બોલરો પર દબાણ ઘણું વધી ગયું છે. બેટ્સમેનો હવે વધુ નિડર થઈને રમી રહ્યા છે અને તેમનું કૌશલ્ય પણ ઊંચું આવ્યું છે. ફ્લેમિંગના મતે, માત્ર ચેન્નાઈ જ નહીં પરંતુ આ સીઝનમાં તમામ ટીમોના બોલિંગ એટેક દબાણમાં જોવા મળી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ટીમે પોતાની યોજનાઓનું અમલીકરણ વધુ સચોટ રીતે કરવાની જરૂર છે.

