ગીર સોમનાથ: ઉના સિવિલ હોસ્પિટલમાં આખલા ઘૂસ્યા, સિક્યુરિટી સામે સવાલો ઉઠતા અધિક્ષકે કર્યો બચાવ
ગીર સોમનાથ જિલ્લાના ઉના સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક આખલા ઘૂસી આવવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે પશુઓના આતંકને પગલે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે હવે સિવિલ હોસ્પિટલના ઇનચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ૧ જૂનની રાત્રિના સમયે બે આખલાઓ રખડતા-ભટકતા હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા. આ દરમિયાન બંને આખલાઓ વચ્ચે હોસ્પિટલના પરિસરમાં જ ભીષણ લડાઈ શરૂ થઈ હતી. આખલાઓની આ લડાઈને કારણે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલો અને તંત્રનો બચાવ
આ ઘટના બાદ સિક્યુરિટી ગાર્ડ્સની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે ઉના સિવિલ હોસ્પિટલના ઇનચાર્જ અધિક્ષક ડો. મનોજ સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સિક્યુરિટી સ્ટાફ દ્વારા આખલાઓને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બે આખલાઓની લડાઈ ઉગ્ર હોવાથી તેમને અટકાવવા મુશ્કેલ બન્યા હતા. અધિક્ષકે પોતાની અને સિક્યુરિટીની કામગીરીનો લૂલો બચાવ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભવિષ્યમાં તકેદારી રાખવાની ખાતરી
હોસ્પિટલ અધિક્ષક ડો. મનોજ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને રખડું પશુઓ હોસ્પિટલના પરિસરમાં ન ઘૂસે તે માટે હવે વિશેષ તકેદારી રાખવામાં આવશે. સિક્યુરિટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીને હોસ્પિટલની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાની કવાયત હાથ ધરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

