સુરત બ્રેકિંગ: સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન સુરતની વરવી વાસ્તવિકતા, જહાંગીરપુરાના સુડા આવાસમાં દોઢ વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવનારા સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી મનપાના દાવાઓની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. જહાંગીરપુરા સ્થિત સુડા સાંસ્કૃતિક આવાસમાં છેલ્લા દોઢ વર્ષથી ગટર બેક મારવાની અને ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્વચ્છ શહેરના બિરુદ વચ્ચે આવાસના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ગંદા પાણી ફરી વળ્યા, લીલ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ
સુડા સાંસ્કૃતિક આવાસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ગટરના દૂષિત પાણી ઉભરાઈને રોડ પર ફરી વળ્યા છે. દરવાજા પાસે જ સતત પાણી ભરાયેલું રહેવાને કારણે ત્યાં લીલ જામી ગઈ છે અને મચ્છરોનો ભયાનક ઉપદ્રવ વધ્યો છે. આવાસમાં આવતા-જતા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. દુર્ગંધ અને ગંદકીના કારણે રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે.
ગટરનું પાણી બોરિંગમાં ભળતાં રોગચાળાનો ભય, અનેક લોકો તાવ-મેલેરિયાની ચપેટમાં
સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ગટરનું દૂષિત પાણી આવાસના બોરિંગના પાણીમાં ભળી રહ્યું છે. દૂષિત અને ગંદુ પાણી પીવાની નોબત આવતાં આસપાસના લોકોમાં ભારે રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે. આવાસમાં હાલમાં જ અનેક લોકો તાવ, મેલેરિયા અને પાચન સંબંધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ૨૪ જેટલા બિલ્ડિંગો ધરાવતા આ પરિસરમાં મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે, જેના કારણે આરોગ્ય વિષયક મોટું જોખમ ઊભું થયું છે.

અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, સ્થાનિકોએ આપી ધરણાની ચીમકી
સ્થાનિક લોકોનો આરોપ છે કે છેલ્લા દોઢ વર્ષથી પાલિકા તંત્ર અને સંબંધિત અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં સ્થળ પર આવીને આ સમસ્યાનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. પાલિકાની આ ઘોર બેદરકારીથી કંટાળેલા રહીશોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આવનારા એક અઠવાડિયામાં આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તમામ રહીશો ભેગા મળીને મહાનગરપાલિકા (મનપા) કચેરી સામે ઉગ્ર ધરણા પ્રદર્શન કરશે.
