ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને કાનૂની જાગૃતિ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત લિંબાયત સ્થિત સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે જન-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.એ. ત્રિવેદી અને સચિવ ડી.આર. જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના જોખમોથી માહિતગાર કરવાનો હતો. નશો કરવાથી સ્વાસ્થ્ય અને કારકિર્દી પર થતી ગંભીર અસરો વિશે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.
ડ્રગ્સ જનજાગૃતિ અને સાયબર ક્રાઇમની સમજ
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા શ્રી પ્રદિપ શિરસાઠે ૮૦ જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના વ્યસનમાંથી કેવી રીતે બચવું અને સાયબર ક્રાઇમના વધતા જોખમો સામે કેવી રીતે સાવધ રહેવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને મફત કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક સ્ટાફની પ્રેરક ઉપસ્થિતિ
કોલેજના આચાર્ય ડૉ. મેઘના અધ્વર્યુંના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રો. ડૉ. દિનાબેન પટેલ અને સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. પ્રદ્યુમનસિંહ મહિડા સહિતના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવાના શપથ લેવડાવ્યા હતા. ડૉ. વિનોદ શુક્લા, થર્મેશકુમાર ગામીત અને અન્ય શિક્ષકોએ પણ સામાજિક બદીઓ સામે લડવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુવાનોમાં વધતી જતી નશાની વૃત્તિને અટકાવવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
