અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આગામી તા.29મીએ સુરતમાં સ્વાભિમાન સમારોહ 2022નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક રાજકીય પક્ષોના મહાનુભાવો એકમંચ થશે આ સમારોહમાં ક્ષત્રિય સમાજના દરેક સંગઠનના ભાઈ બહેનોને હાજર રહેવા આહવાન કરાયું છે.
અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ,દક્ષિણ ગુજરાતના ઉપક્રમે શ્રી મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિ નિમિત્તે આગામી તા.29-5-2022 ને રવિવારના રોજ બપોરે 1.30 કલાકે સુરતના અઠવાલાઇન્સ રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્વાભિમાન સમારોહ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
ખાસ કરીને રાજપૂત, ક્ષત્રીય સમાજના તમામ સંગઠનોના ભાઈ-બહેનો અને સમાજની નવી પેઢી સમાજની સંસ્કૃતિ અને ભવ્ય વારસા થી પરિચિત રહે તેમજ સમાજ રાજકીય,શૈક્ષણિક રીતે જાગૃત થાય અને ક્ષત્રિય સમાજ વધુ ને વધુ સંગઠિત બને તે માટેના ઉદ્દેશથી યોજાનાર આ કાર્યક્રમમાં દરેક ક્ષત્રિય પરિવારો હાજર રહે તે માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં અતિથ વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિત સમાજના દરેક રાજકીય પક્ષોના મહાનુભાવોને એકમંચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,કેબિનેટ મંત્રી કીરીટસિંહ રાણા,સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજા,પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,પ્રદેશ ગુજરાત ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,પૂર્વ ગુહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત દરેક ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.
ઉપરાંત આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ, કેન્દ્રીય રાજયમંત્રી દર્શનાબેન જરદોષ અને મેયર હેમાલી બેન બોઘાવાલા પણ ખાસ હાજરી આપશે.
સુરતમાં યોજાનાર આ ખાસ સ્વાભિમાન સમારોહમાં જુદાજુદા રાજકીય પક્ષોના મહાનુભવો એકમંચ થવાના હોય ભારે ઉત્સુકતા ફેલાઈ ગઈ છે.