સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતા કેટલાય પરીવારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તેવે સમયે સુરતમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં એકનું મોત થઈ ગયું છે.
સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કરતા ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
જ્યાં સારવાર દરમ્યાન એકનું મોત થયું છે.
હીરામાં મંદી આવતા કોઈ અન્ય આવક નહિ હોવાથી આર્થિક સંકડામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ સુરતના સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મુળ ભાવનગરના શિહોરના વતની એવા 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા તેમજ તેમના 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે, પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જે વાત સામે આવી તેમાં વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી પ્રવર્તી રહી છે તેથી આર્થિક સંકડામણના કારણે તેમણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના આત્યાંતિક પગલા બાબતે તપાસ શરૂ કરી છે.
આ પરિવારે એલ્યુમિનીયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દિકરા અને એક દિકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હોવાની વાત સામે આવી છે.