સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાનું સરકારી અનાજ ફાળવે છે પણ આ અનાજ ગરીબો સુધી પહોંચે તે પહેલાંજ ભિખારી અનાજ માફિયાઓ અનાજ બારોબાર સગેવગે કરી લાખ્ખો રૂપિયા કમાઈ રહયા છે. આવાજ એક કિસ્સામાં આ વાત સાબિત થઈ છે સુરતના સચિન ખાતે સરકારી ગોડાઉનમાંથી ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને અનાજ સગેવગે થતું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરવકમાં આવ્યો હતો તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ સુરતના સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.3.87 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.
આ મામલે પોલીસે કરેલી તપાસમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન આ પ્રકરણ સામે આવતા રાજ્યના ગૃહ વિભાગમાં ભારે હડકંપ મચ્યો હતો અને અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ આ કેસ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં થયેલી તપાસ બાદ આ પ્રકરણમાં ગોડાઉન મેનેજર પ્રિતીબેન મનુભાઈ ચૌધરી સહિત કુલ-7 આરોપીઓની ધરપકડ કરી હતી સાથેજ સચીન સ્થિત સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા માટે ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેનભાઈ વિઠ્ઠલભાઇ રાવળ (રહે.ઘર નં.14, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.06/03/2023 સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.
સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલકુમાર ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-6, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત) પણ ઝડપાયો છે. આરોપી સુનિલ દ્રારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતીબેન ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હોવાનું ખુલ્યું છે, આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-2021માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો હોવાની વાત સામે આવી છે.
આમ,પોલીસના હાથે ઝડપાયા બાદ ફરી પણ અનાજ ના કાળા ધંધા શરૂ કર્યા હતા અને ફરી પકડાયો છે.