વડોદરાના છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરનો છેલ્લા કેટલાક સમયથી ડખ્ખો ચાલે છે અને આ બધા વચ્ચે કોઠારી સ્વામી તાળું બદલવા માટે આવ્યા તે સમયે જૂના વહીવટકર્તાઓએ આવીને માથાકૂટ કરતા થયેલી બબાલ દરમિયાન દિનેશભાઈ પુરુષોત્તમ વણકર નામના આધેડને ધક્કો લાગતા તેઓનું પડી જતા મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ મંદિરે દોડી આવી હતી અને દિનેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છાણી સ્વામિનારાયણ મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા કરે છે. અગાઉ મંદિરના વિવાદનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નાયબ કલેક્ટરની કોર્ટમાં ચાલતા વડતાલ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
આજે કોઠારી સ્વામી બાલસ્વામી મંદિરમાં તાળું બદલવા જતાં બબાલ થઈ હતી અને દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતી પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 શખસે હુમલો કર્યો હોવાનું કહેવાતું હતું.
બબાલ કરનારા લોકોએ મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ત્રણ મહિના પહેલાં લેન્ડ ગ્રેબિંગનો કલેક્ટરમાં કેસ કરવામાં આવ્યો હતો. મંદિર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વર્ષથી તેઓને પોલીસ બંદોબસ્ત મળી રહ્યો નથી.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.