સુરતમાં અનેક ગેરકાયદે બાંધકામો છે અને આજે ચાલુ છે, આ ગેરકાયદે બાંધકામો પાછળ રાજકીય નેતાઓ પણ ક્યાંકને ક્યાંક સંડોવાયેલા હોય છે અને આવાજ લોકોના પાપે ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આમતો જનતામાં મોટાભાગે નેતાઓ માટે એવી છાપ હોય છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એકબીજાની વિરૂદ્ધ હોય છે અને વિરોધ પક્ષ જ્યાં ખોટું જણાય ત્યાં જનહિત માટે વિરોધ કરતા હોય છે પણ સુરતમાં કઈક અલગ જોવા મળ્યું અહીં ભાજપ અને આપના નેતા ગેરકાયદેસર કામમાં એક થઈ “ભાઈ ભાઈ” થઈ ગયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
વાત જાણે એમ બની કે વરાછા ઇસ્ટ ઝોન બી વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-24 મોટા વરાછા સુદામા ચોક પાસે 64 શબરીધામ રો હાઉસમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે અને આ ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે એક સામાજિક કાર્યકર્તા દ્વારા અરજી કરવામાં આવતા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ભરવાના બદલે ભાજપ અને આપના નેતાઓએ આ ગેરકાયદે બાંધકામની અરજી પરત ખેંચવા અરજદારને ફોન કરી દબાણ ઉભું કર્યું હતું.
ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ ગેરકાયદે બાંધકામ સામે કરેલી અરજી પાછી ખેંચવા માટે સામાજિક કાર્યકર હંસાબેન વઘાસિયાને ફોન કરીને અરજી ખેંચવા જણાવતા અરજદાર પણ ચોંકી ઉઠ્યા હતા અને અહીં ભાજપ તો ઠીક પણ વિરોધ પક્ષના નેતા પણ ભાજપની પંગતમાં બેસી જતા લોકશાહીના નિયમો સામે સવાલો ઉઠ્યા છે અને બધા એક થઇ જશે તો જનતાનું કોણ સાંભળશે તે વાતો સુરતમાં ચર્ચાનો વિષય બની છે.