સુરત શહેરમાં ઝાડા-ઊલટીનો રોગચાળો ફાટી નીકળતા છેલ્લા છ દિવસમાં આઠ બાળકનાં મોત થતા તંત્ર દોડતું થઈ ગયું છે, હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકોનો વોર્ડ ભરાઈ ગયો છે.
સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને માત્ર સિવિલ હોસ્પિટલની જ વાત કરવામાં આવેતો અહીં છેલ્લા બે મહિનામાં ઝાડા-ઊલટીના 145 કેસ નોંધાયા છે.
આ સાથે જ વાઇરલ, ટાઇફોઇડ, મલેરિયાના કેસમાં પણ વધારો થયો છે.
હાલ વરસાદને કારણે સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે.
ખાસ કરીને શહેરમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે, જેમાં બાળકો વધુ ઝપેટમાં આવી રહયા છે.
સિવિલ હોસ્પિટલમાં આવેલો બાળકોનો વોર્ડ હાલ હાઉસફુલ જોવા મળી રહ્યો છે.
સુરતના ઉમરા, વડોદ અને પાંડેસરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા સુરત મહાનગર પાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું છે અને એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા હવે રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. આ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરાવામાં આવી છે.