છેલ્લા કેટલાક સમયથી બેફામ કાર ચલાવી લોકોને અડફેટમાં લેવાની મોટાભાગે રાતના સમયે ઘટનાઓ વધી છે ત્યારે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી નજીક રાત્રે એક સ્વિફ્ટ કાર ચાલકે બેફામ ઝડપે કાર ચલાવી બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવતા ભારે અફરા તફરી મચી હતી અને લોકો ભેગા થઈ ગયા હતા જેઓએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી મેથીપાક આપ્યો હતો.
પૂરપાટ ઝડપી આવી રહેલા સ્વિફ્ટ કારના ચાલકે બાઇક ચાલકોને અડફેટે લીધા બાદ 20 ફૂટ જેટલા ઢસડ્યા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં કારની એરબેગ ખુલી ગઈ હતી અને 25 ફૂટ દૂર જઈ કાર રોકાઈ ગઈ હતી.
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હતો,જેથી લોકો ઉશ્કેરાયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો અને કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.
પોલીસે જણાવ્યું કે કાર ચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તથ્ય પટેલે કાર અડફેટે લઈ નવ લોકોના મોત નિપજાવ્યા બાદ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે.
પોલીસે દિવસે અભિયાન શરૂ કર્યું છે પણ આવી ઘટનાઓ રાત્રે બનતી હોય પોલીસ રાત્રે અભિયાન શરૂ કરે તે જરૂરી છે.