સુરતના ઉધના દરવાજા મસ્જીદ પાસે આરાધના બીલ્ડીંગમાં આવેલી ધ પેટ શોપ નામની દુકાનમાં પક્ષીઓ માટેના હિટર મશીનમાં શોર્ટસર્કીટના કારણે રાત્રે આગ ભભૂકી ઉઠતા પાંજરે પુરાયેલા 20 કરતા વધારે પક્ષીઓ જીવતા જ સળગી જતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં દુકાનમાં અલગ અલગ પાંજરામાં કેદ 20થી વધુ પક્ષીઓનાં મોત નિપજ્યાં હતાં તેમજ પક્ષીઓના પાંજરા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના મોટા ભાગનાં પેટ શોપનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવ્યું નહી હોવાનું સામે આવ્યું છે ખરેખર તો નિયમ મુજબ કોઈપણ પેટ શોપમાં રખાતા પશુ-પક્ષીની દેખરેખ માટે 24 કલાક માટે એક કેરટેકર હાજર રહેવો જ જોઈએ પરંતુ આ નિયમનું પાલન ક્યાંય કરાતું નથી તેવે સમયે સુરત મનપા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરીને નિયમોનું પાલન કરાવે તે જરૂરી બની ગયું છે