રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વાવાઝોડું ફૂંકાતા લોકોમાં ભારે ભાગદોડ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા સુરતમાં વાવાઝોડા અંગે કોઈપણ જાતની આગોતરી જાણકારી નહિ અપાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સુરતમાં 78 કિમીની તીવ્ર ઝડપે વાવાઝોડું ફૂંકાતા 33થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ જવા પામી હતી.
અચાનક ભારે પવનો ફૂંકાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક કાચા-પાકા મકાનોના પતરાં ઉડી ગયા હતા.
જ્યારે મોડી રાત સુધી ફોન કોલનો મારો ચાલુ રહેતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ હતી.
શહેરમાં વીજપોલ તૂટી જવાના બનાવો બન્યા હતા પરિણામે અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો.
ઠેરઠેર બેનર-હોડિંગ્સ પડવાના બનાવો પણ બન્યા હતા.
શહેરના રાંદેર, જહાંગીરપુરા, પાલ, અડાજણ વિસ્તારમાં વાવાઝોડાની અસર વધુ જોવા મળી હતી.
સુરતમાં ગત સાંજે લગભગ 7.15થી 7.20 વાગ્યા વચ્ચે આકાશમાં અચાનક કાળાડિંબાગ વાદળો ચડી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા શરૂ થયા હતા. જો કે, હવામાન વિભાગે વાવાઝોડાની કોઇ આગાહી કરી ન હોય લોકો અજાણ હતા તેથી અચાનક વાવાઝોડુ ફૂંકાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.