દુબઈના શારજાહથી સુરતમાં રૂ.27 કરોડ નું સોનું લઈને એરપોર્ટ ઉપર ઉતરેલા ચાર ઇસમો ઝડપાઈ ગયા છે.
DRIની તપાસમાં 45 કિલો સોનુ મળ્યું છે જે દાણચોરીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
છેલ્લા થોડા જ સમયમાં ત્રીજી વખત DRI દ્વારા સોનું પકડતા કસ્ટમ એર ઈંટેલિજેંટ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેમજ આ સોનું કોણે મંગાવ્યુ છે. તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ચારેય મુસાફરો પેસ્ટ રૂપે સોનું લાવ્યા હતા. ચારેય જણા સ્કેનિંગ સેક્શન સુધી આવે એ પહેલા જ ડીઆરઆઇએ તમામને ઝડપી લીધા હતા.
તમામની મોડી રાત સુધી પુછપરછ ચાલી રહી હતી. આટલુ જંગી સોનું સુરતના જ એક વેપારીએ મંગાવ્યુ હોવાની માહિતી સામે આવી રહી છે.
ડીઆરઆઇના અધિકારીઓને માહિતી મળી કે શારજાહથી આવતી ફ્લાઇટમાં કેટલાંક મુસાફરો સોનુ લાવી રહ્યા છે. અધિકારીઓ ફ્લાઇટના સમયે એરપોર્ટ પર ગોઠવાઈ ગયા હતા અને જેવી ફ્લાઇટ આવી અધિકારીઓએ ચેકિંગ શરૂ કરી દીધુ હતુ અને ચાર શકમંદોને ચકાસાતા તેમની પાસેના ચાર બેગમાંથી પેસ્ટ રૂપે કુલ 45 કિલો સોનુ મળી આવ્યુ હતુ જેની બજાર કિંમત રૂપિયા 27 કરોડ જેટલી થાય છે. સોનુ અધિકારીઓએ જપ્ત કરી લીધુ હતુ અને ચારેયની આકરી પુછપરછ શરૂ કરી હતી.
આજે રવિવારના રોજ ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવે એવી સંભાવના છે.