અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગ માં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “મારા શરીર માં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટેરેસ પર લઈ આવ્યું છે. મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ”. સરકારી કચેરી માં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસ નો વિષય બની છે.
અઠવાલાઇન્સ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી ગત રોજ 25 વર્ષીય રાજ પટેલ નામનો યુવક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જે બાદ લાશને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ અઠવા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આજ રોજ યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ-મોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં મૃતકના મિત્ર એ જણાવ્યું હતું કે રાજ પટેલ વકીલ ની ઓફિસમાં ફરજ બજાવે છે. ગત રોજ તે પોતાના અન્ય ત્રણ મીત્રો જોડે બહુમાળી આવ્યો હતો. જે દરમ્યાન ત્રીજા માળેથી રાજ નીચે પટકાતા તેનું મોત થયું હતું. જો કે ચોથા માળેથી તેની એક બેગ પણ મળી આવી હતી. ઘટના અગાઉ તેણે મોબાઈલ પર એક મેસેજ પણ કર્યો હતો. પોતે બહુમાળીની ટેરેસ પર છે અને તેના શરીર માં કોઈ ઘુસી ગયું છે. એક વ્યક્તિ પાસે રૂપિયા લેવાના હતા જે લઈ લીધા છે અને પોતાની પાસે ચાલીસ હજાર રોકડા રૂપિયા પડ્યા છે. મારા શરીરમાં ઘુસેલ વ્યક્તિ મારી પ્રગતિ જોઈ નથી શકતું અને જેથી તે આવું કરી રહ્યો છે. તું મને બચાવવા આવ. આ પ્રમાણે નો એક મેસેજ પોતાના મિત્રના મોબાઈલ પર કર્યો હતો.