અમદાવાદના કૃષ્ણનગરમાંથી ગુમ થયેલી 14 વર્ષની સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં સજા ભોગવી રહી છે. આ સગીરા નવરાત્રિમાં ગુમ થઇ ગઇ હતી. સગીરાએ પિતાને ફોન કરતા અમદાવાદ પોલીસ સફાળી જાગી છે. આશ્ચર્યની વાત એ છે કે સગીરાની ઉંમર ચાર માસમાં ચાર વર્ષ વધી ગઇ છે. સગીરાની ઉંમર અંગે કોઇપણ જાતની તપાસ કર્યા વગર જ પોલીસે તેને જેલમાં બંધ કરી દીધી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી ઓકટોબર માસમાં ગુમ થઇ હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.આર.ચૌધરીના જણાવ્યા મુજબ ગુમ થયેલી સગીરાનું સુરતના એક યુવકે અપહરણ કર્યું હતું. ત્યારબાદ કોઇપણ રીતે લગ્ન કરીને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી હતી. જયાં તે સગીરાના સસરાનું બિમારીના કારણે મોત થયું હતું. આ કેસમાં તાંત્રિક વિધીના કારણે મોત થવાના આરોપમાં પોલીસે સગીરાના સુરત જેલમાં મોકલી આપી હતી.
સગીરાએ સુરત જેલમાંથી તેની બહેનને ફોન કરીને આ આખી ઘટનાની જાણ કરતા જ તેના પિતા સગીરાને મળવા સુરત જેલ પહોચ્યાં હતાં. જ્યાં સગીરાએ ઘટસ્ફોટ કર્યો હતો કે અમદાવાદના એક યુવાનએ તેને નોકરીની લાલચ આપીને સુરતમાં લગ્ન કરાવી દીધા હતાં. બાદમાં 11મી નવેમ્બરે કતારગામમાં થયેલ હત્યાના આરોપમાં પોલીસએ તેની ધરપકડ કરીને સુરત જેલમાં મોકલી આપેલ છે. જો કે પોલીસ પણ કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર જ જેલમાં મોકલી આપી હોવાનું બહાર આવ્યું છે.