સુરતની સેશન્સ કોર્ટે રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથરીયાના મળેલા જમીન રદ્ કરવાનો હુકમ કર્યો હતો. કથીરીયાને ફરી જેલ જવાનો વારો આવ્યો છે. સુરતના રાજદ્રોહ કેસમાં નવેમ્બર મહિનામાં જામીન આપવામાં આવ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિર બ્રિગેડના કર્મચારીઓ સાથે અલ્પેશ કથીરીયાનો બાઈક પાર્ક કરવા મામલે વિવાદ થયો હતો. આ વિવાદ છેવટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં લોકઅપની અંદરથી કથીરીયાની પોલીસ અધિકારીઓને ગાળો આપતી વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. સુરત પોલીસે ગેરકાયદે ટોળકી રચી પોલીસની કામગીરીમાં દખલ કરવા સહિત કાયદાભંગના પાંચ કેસ કર્યા હતા.
આ અરજી અંગે 11મી જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી અને બન્ને પક્ષોએ સામ-સામી દલીલ કરી હતી. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અલ્પેશ કથીરીયાએ સભ્ય સમાજમાં રહીને પોલીસ સાથે તોછડાઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો છે જેથી કરીને જામીન રદ્ કરવાની જરૂર છે.
11મી જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં બચાવપક્ષે કથીરીયાના વકીલ યશવંત વાળાએ દલીલ કરતાં જણાવ્યું કે અલ્પેશ કથીરીયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે એક્શનનું રિએક્શન હતું. શું પોલીસને અભદ્ર ભાષા, અપમાનજનક શબ્દો બોલવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે? પોલીસ દ્વારા જે તે ઘટના અંગે ત્વરિત્તાથી ફરીયાદ દાખલ કેમ કરવામાં આવતી નથી? સાડા ત્રણ વર્ષ દરમિયાન અલ્પેશ કથીરીયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. પરંતુ કોર્ટે બચાવ પક્ષની દલીલ ફગાવી કથીરીયાના જામીન રદ્ કરવાનો હુકમ કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે પણ રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવા માટે અરજી કરવાની વાત કહી હતી. 31મી ડિસેમ્બરે સુરત પોલીસે જામીન રદ્ કરવા અરજી કરી હતી.
પોલીસે કરેલી અરજીમાં કાયદો-વ્યવસ્થા અને શહેરની સુલેહ-શાંતિનો ભંગ કરવામાં આવ્યા હોવાના કારણો આગળ ધર્યા છે. આ ઉપરાંત પોલીસ સાથે ગાળાગાળી અને ટોળા તથા સમાજની ઉશ્કેરણીના પણ કારણ આપ્યા છે.