બે દિવસ પહેલા મોડી રાત્રે ઘરમાં ચોકલેટની ગોળીઓ ખાવાને બદલે ઝેરી ગોળી ખાઈ ગયેલી ધોરણ-12ની વિદ્યાર્થિનિનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા શાંતિનગર પાસે શાશ્વત રેસીડેન્સીમાં રહેતી 19 વર્ષીય કિશાંગી મયુરભાઈ કૈલેયા ગઈ પહેલી તારીખે મોડી રાત્રે ઘરમાં ફ્રિજ પર મૂકેલી ચોકલેટની ગોળીઓ ખાવાને બદલે તેના હાથમાં અનાજમાં નાખવાની ગોળી આવી જતા ખાઈ ગઈ હતી. જેથી તેને કડવું લાગ્યું હતું.બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મોત નીપજ્યુ હતુ. કિશાંગી ઘોડદોડ રોડની શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેને એક ભાઈ અને બહેન છે. તેના પિતા જમીન દલાલીનું કામ કરે છે.
Monday, May 20