સુરતના ગોડાદરામાં થોડા દિવસ પહેલા કિન્નરોની દાદાગીરીની એક ઘટના સામે આવી હતી. સુરતમાં રહેતા એક રાજસ્થાની પરિવારમાં પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇને બે કિન્નરોએ નવજાતના પિતાને ઢોર માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. જેના કારણે પિતાને માથાની નસ ફાટી જવાના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ ઘટનામાં દુ:ખદ સમાચાર મળી રહ્યા છે.
હાલ મળતી માહિતી પ્રમાણે, સુરતની હોસ્પિટલમાં રવિવાર રાત્રે સારવાર દરમિયાન નવજાતના પિતાનું મોત થયું છે. કિન્નરો અને યુવક વચ્ચે થયેલા ધર્ષણમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન રવિવારે રાત્રે મોત થતા પરિવારમાં ઘરો શોક છવાઈ ગયો છે.
યુવકના મોત બાદ પોલીસે 3 કિન્નરો સામે 302ની કલમ લગાવી હત્યાનો મામલો નોંધીને કાર્યવાહી હાથ ધરી રહી છે. આ ઉપરાંત, વિસ્તારમાં કિન્નરોના આતંકને લઈ રાજસ્થાની સમાજ દ્વારા કડક પગલાં લેવા માટે શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગેહરીલાલ કસ્તુરી ખટીકને સંતાનમાં બે પુત્રીઓ છે અને તા.31મી ઑગસ્ટનાં રોજ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં.
કિન્નરો ગહેરીલાલ પાસે 21 હજાર રુપિયા દાપું માગ્યું હતું. પરંતું આર્થિક પરિસ્થિતિને જોતા પિતાએ 7 હજાર રૂપિયા આપ્યાં હતાં. જોકે આટલા દાપુંથી કિન્નરો ખુશ ન હતાં. જેથી તેઓ અપશબ્દો બોલીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. આટલેથી ન અટકતાં તેમણે પિતા ગહેરીલાલને માર પણ માર્યો હતો અને તેમનું માથું દિવાલમાં અથાડ્યું હતું. જેથી ગહેરીલાલને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં.
ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ કહ્યું હતું કે તેમની મગજની નસ ફાટી ગઇ છે. તેમની હાલત નાજુક છે. જેથી હાલ તેઓ આઇસીયુમાં દાખલ છે. ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી હતી.