સુરત શહેરમાં દરરોજ સઘન રીતે સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. કોરોનાએ લગભગ સંપુર્ણ શહેરને પોતાની ચપેટમાં લઈ લીધું છે. ત્યારે સુરત શહેરમાં જે વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ વધુ આવ્યા છે તે તમામ વિસ્તારોમાં સઘન સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેર સ્થળોને પણ સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તો હવે સુરતમાં કચરાની ડોર-ટુ-ડોરની ગાડીઓને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહી છે.
સુરતમાં તંત્ર દ્વારા તો સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી જ રહી છે. પરંતુ સુરતના નગરસેવકોએ પણ આ કામગીરી હાથમાં લીધી છે. સુરતમાં ધારાસભ્યથી લઈ ડે.મેયર અને કોર્પોરેટરો પણ સેનીટાઈઝેશનની કામગીરી જાતે પોતાના વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળોમાં કરી રહ્યા છે. ગઈકાલે ડે.મેયર નિરવ શાહ દ્વારા શહેરના તમામ ધાર્મિક સ્થળોને કોરોના વાયરસ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. તેઓ પણ દરરોજ સેનીટાઈઝેશન કરી રહ્યા છે. તો સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ દરરોજ 500 થી 600 સ્થળોએ સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે.