સુરતના કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સ નામની કંપનીએ વધુ 300 રત્નકલાકારોને છૂટા કર્યા છે. કંપનીના નિર્ણયને કારણે હીરાના કારીગરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. છુટ્ટા કરાયેલા રત્નકલાકારો કતારગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થયાં હતા અને ત્યાર બાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને લખિત રજૂઆત કરી હતી. કલેક્ટર આ મુદ્દે મધ્યસ્થી કરી રત્નકલાકારોના હિતમાં ઉકેલ લાવે તેવી માંગ સાથે ધરણા પર ઉતર્યા હતા.
રત્નકલાકારોનું કહેવું છે કે તેમને કોઇ પણ લેખિત જાણ કર્યા વગર કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે. જેના કારણે રત્નકલાકારોને ઘરખર્ચ, બાળકોના અભ્યાસ માટેની ફી, ઘરનું ભાડું સહિત અનેક સમસ્યા સર્જાઇ છે. મહત્વનું છે કે ગોધાણી જેમ્સે થોડા દિવસ પહેલા જ 250 જેટલા કારીગરોને છૂટા કર્યા હતા. જે બાદ હવે વધુ 300 કારીગરોને છૂટા કરતા તેઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.