સુરત મહાનગરપાલિકા સંચાલિત વીસમા પુસ્તકમેળામાં સૌથી વધુ લોકો આવતા હોય વેરાની લોક જાગૃતિ માટે ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પુસ્તક મેળામાં લોકો ખાનગી વાહનને બદલે સિટી બસનો ઉપયોગ કરે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શનિવારે બપોરે ત્રણ વાગ્યે પુસ્તક મેળો શરૂ થયો ત્યારથી રવિવાર સુધી દોઢ લાખ જેટલા મુલાકાતીઓ આવી ગયા છે. પુસ્તકમેળામાં લોકોની સંખ્યા વધારે જોઈને મ્યુનિ. તંત્રએ વેરા વસુલાતની કામગીરી સઘન થાય તે માટે પુસ્તક મેળામાં અનેક જગ્યાએ વેરો ભરવા માટે બોર્ડ લગાવ્યા છે. 1થી 5 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા આ પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં સુરતીઓ ભાગ લે છે. પુસ્તક મેળાના દરેક ડોમની બહાર મહાનગરપાલિકાએ બાકી વેરો ભરવા તથા એડવાન્સ વેરો ભરવા માટેના બેનર લગાવ્યા છે. તંત્રનું એવું માનવું છે કે આ જગ્યાએ લોકજાગૃતિના બેનર લાગ્યા હોવાથી કેટલાક લોકો તે વાંચીને પણ ભરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકોને એડવાન્સ ટેક્સ ની માહિતી નથી તે પણ અહીં દર્શાવવામાં આવી છે. લોકો એડવાન્સ ટેક્સ ભરીને રીબેટ પણ મેળવી શકે છે. રવિવારે પુસ્તકમેળામાં 90 હજારથી વધુ લોકો ઉમટી પડતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થઈ હતી. લોકોએ આ રેડ રસ્તા પર વાહનો પાર્ક કરી દેતા પોલીસની કામગીરી વધી ગઈ હતી. એક સાથે વધુ લોકો પુસ્તકમેળામાં આવી જતા પાર્કિંગ પણ હાઉસફૂલ થઈ ગયું હતું આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકાએ જુદાજુદા વિસ્તારમાંથી વનિતા વિશ્રામ પુસ્તકમેળા સુધી બસ પહોંચે તે પ્રકારનું આયોજન કર્યું છે. પુસ્તકમેળામાં સતત લોકોને ખાનગી વાહનોને બદલે સિટી બસનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે પણ અપીલ કરવામાં આવે છે.
Monday, May 20