લોકસભાની ચૂંટણી નજીક દેખાતા ગુજરાત સરકારને તાપી નદીના શુદ્વિકરણનો મુદ્દો યાદ આવ્યો. આજે સુરત ખાતે આવેલા મહેસુલ મંત્રી કૌશિક પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું. મીડીયાને સંબોધતા કૌશિક પટેલે કહ્યું કે સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્વિકરણ યોજનાને ઝડપથી આગળ વધરાવા માટે બેથી ત્રણ દિવસમાં એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે મળેલી મીટીંગમાં તાપી શુદ્વિકરણ અભિયાન માટે નોડલ ડિપાર્ટમેન્ટની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
કૌશિક પટેલે જણાવ્યું કે સુરતની મહત્વકાંક્ષી 922 કરોડની તાપી શુદ્વિકરણ યોજના અંગે કલેક્ટર ઓફીસમાં મીટીંગ રાખવામાં આવી હતી. મીટીંગમાં સુરત અને નવસારીનાં સાંસદો, ભાજપના તમામ ધારાસભ્યો,કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર યોજના અંગે વ્યવહારુ અને કૂશળ સંચાલન થાય તેના માટે નોડલ ડીપાર્ટમેન્ટની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રેનેજનું પાણી હોય કે ફ્લાય એશ હોય તેનો કાયમી ઉકેલ લાવવા માટે અલગ-અલગ વિભાગો દ્વારા કામગીરી અને મંજુરી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બેથી ત્રણ દિવસમાં સુરત મહાનગરપાલિકાનાં કમિશનર રિપોર્ટ આપશે ત્યાર બાદ તાપી શુદ્વિકરણ અંગે એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. એક્શન પ્લાન પ્રમાણે તાપી શુદ્વિકરણ યોજનાને આગળ વધારવામાં આવશે.
તેમણે કહ્યું કે ગંગા સફાઈ અભિયાન પણ ઝડપથી ચાલે છે અને ત્યાં જઈને જોઈ શકો છો કે સાડા ચાર વર્ષમાં ગંગાને કેટલા પ્રમાણમાં ચોખ્ખી કરી દેવામાં આવી છે. તાપી શુદ્વિકરણ યોજનામાં 60 ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને 20 ટકા હિસ્સો સુરત મહાનગરપાલિકાનો રહ્યો છે જ્યારે રાજ્ય સરકારનો 20 ટકા હિસ્સો છે. અનેક ટેક્નિકલ પાસાઓ અને પર્યાવરણની મંજુરી લઈને તાપી શુદ્વિકરણ યોજનામાં હવે એક્શન પ્લાન પ્રમાણે કામ કરવાનું છે.
તેમણે કહ્યું કે વિશ્વની અંદર જ્યાં પણ આવી સમસ્યા છે તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. તાપી નદીમાં જળકૂંભીના વિષયમાં તેના કાયમી ઉકેલ માટે સરકાર પ્રયત્નશીલ છે. જળકૂંભી અંગે સુરત મહાનગરપાલિકાના સ્ટાફને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત ડાંગમાં મોતને કમનસીબોને પ્રત્યે તેમણે સંવેદના પ્રકટ કરી હતી.