તાપી નદી પર બની રહેલા પાલ ઉમરા બ્રિજના ઉમરા તરફરના અસરગ્રસ્તોના કારણે બ્રિજની કામગીરી ઘોંચમાં પડી છે. સંમતિ આપનારા 8 જેટલા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા મળે અને અન્ય અસરગ્રસ્તો સાથે વાટાઘાટ થાય તે માટે મ્યુનિ. કમિશ્નરે અસરગ્રસ્તો અને અન્ય વિભાગ સાથે સંકલન કરીને કામગીરી ઝડપી કરવા માટે સુચના આપી છે. જેના કારણે આગામી દિવસોમાં પાલ-ઉમરા બ્રિજની કામગીરી માટે હકારાત્મક પરિણામ આવે તેવી શક્યતા વધી રહી છે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો કરવા તાપી નદી પર પાલ ઉમરા વચ્ચે નવો બ્રિજ બનાવવાની કામગીરી ચારેક વર્ષ પહલા શરૂ કરવામાં આવી હતી. હાલ બ્રિજની કામગીરી 95 ટકા જેટલી પુરી થઈ ગઈ છે પરંતુ ઉમરા તરફે 20 જેટલી મિલ્કત એપ્રોચમાં આવે છે. તેઓના વિરોધના કારણે કામગીરી અટકી પડી છે. પાલિકાએ ફરજ્યાત જગ્યા સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે પરંતુ હજી સરકારમાંથી ઝડપી કામગીરી થઈ નથી.
પાલ-પાલનપોર-અડાજણ વિસ્તારના લાકોએ આ બ્રિજના કારણે ટ્રાફિક જામમાં ફસાવવું પડી રહ્યું છે. નવ નિયુક્ત કમિશ્નર બન્ચાનિધિ પાનીની રજુઆત થતાં પાલિકા કમિશ્નરે અસરગ્રસ્તો, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડ, પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી તથા સલંગ્ન અધિકારીઓ વચ્ચે એક બેઠક કરી હતી. જેમાં બ્રિજની કામગીરીમાં જે મુશ્કેલી પડે છે તેનો તાકીદે નિકાલ આવે તેમ કરવા જણાવ્યું હતું.
દરમિયાન અસરગ્રસ્તોએ ગામ તળની જગ્યા હોય ગામતળની જગ્યાની જેમ જે જગ્યા ફાળવામાં આવશે તેની આગળ ખુલ્લી જગ્યા હોય તવી માગણી કરી હતી. જોકે મ્યુનિ કમિશ્નર આવા પ્રકારની કોઈ માગણી સ્વીકારવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ કર્યું હતું. તેઓએ કહ્યુ હતું કે જે અસરગ્રસ્તોએ સંમતિ આપી છે. તેમની જગ્યા લઈને વૈકલ્પિક જગ્યા ફાળવવાની કામગીરી જડપભેર કરવામા આવશે તો અન્ય અસરગ્રસ્તો પણ હકારાત્મક પ્રતિભાવ આપી શકે તેમ હોવાથી આ કામગીરી ઝડપી કરવી જોઈએ.
મ્યુનિ. કમિશ્નરના આ પ્રયાસના કારણે છેલ્લા ચારેક વર્ષથી અધ્ધરતાલ પાલ ઉમરા બ્રિજની કામગીરીમા વેગ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.