સિવિલમાં બાળકીને જન્મ આપ્યા બાદ દાખલ ત્યક્તા જનેતાનું મોત નીપજ્યાં બાદ નવજાત બાળકીના પાલન પોષણ માટે સક્ષમ નહીં હોવાનું કારણ ધરી નાનીએ નવજાત બાળકીને સ્વીકારવાનો ઈનકાર કરી દેતા એનજીઓની દખલ બાદ મામલો સીએમઓ સુધી પહોંચ્યો હતો. જ્યાં બાળકીની તબિયત નાદુરસ્ત જણાતા સીએમઓ(સિવિલ મેડિકલ ઓફિસર)એ બાળકીને દાખલ કરાવી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલાને તેની માતા પ્રેમલગ્ન વિચ્છેદ કરાવ્યા ત્યારે તે ગર્ભવતી હતી અને તેણીનું બાળકીને જન્મ આપ્યા બાદ મોત થતા હવે નવજાતને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો છે.
માતા દીકરીના પ્રેમલગ્ન વિચ્છેદ કરાવી લઈ આવી હતી
ઉમરગામ રેલવે સ્ટેશન નજીક સ્વપ્નલોક સોસાયટી ખાતે રહેતા પ્રિતી અરમાન પઠાણ(ઉ.વ.22)એ બે વર્ષ અગાઉ કલકત્તાના રહેવાસી અરમાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ અરમાન અને પ્રિતી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા અને અરમાન મારઝૂડ કરતો હોવાથી પ્રિતીની માતા નીલમ અશોક મોમિન તેના લગ્ન વિચ્છેદ કરાવી પ્રિતીને સાથે લઈ આવી હતી. જે તે સમયે પ્રિતી ગર્ભવતી હતી.
દીકરીએ બાળકીને જન્મ આપ્યો
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પ્રિતીની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ગઈ તા.5 સપ્ટેમ્બરે પ્રિતીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ પ્રિતીની તબિયત લથડતા તેની સારવાર ચાલી રહી હતી. સાથે બાળકીની પણ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી હતી. બુધવારે રાત્રે પ્રિતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સવારે પ્રિતીની નવજાત બાળકીની તબિયત સ્વસ્થ જણાતા તેને પણ તબીબોએ રજા આપી હતી. જોકે પ્રિતીના અવસાન બાદ તેની નવજાત પુત્રીનો પાલનપોષણ કરવા સક્ષમ ન હોવાનું કારણ ધરી નાની નિલમે નવજાત બાળકીને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
બાળકીનું શું કરવું તે બાબતે અસમંજસ સર્જાઈ
આ વાત એનજીઓ સુધી પહોંચતા એનજીઓ સાથે સંકળાયેલા અર્ચના પાંડે તેમજ તેમના સહયોગી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે, નવજાત બાળકીનું શું કરવું તે બાબતે અસમંજસ સર્જાતાં તેમણે પોલીસ ચોકીનો સંપર્ક સાધ્યો હતો. આખરે સમગ્ર મામલો ટ્રોમા સેન્ટરમાં સીએમઓ ડો.ઓમકાર ચૌધરી સુધી પહોંચ્યો હતો. જેથી તેમણે બાળકીનું એમએલસી કરાવી બાળકીની તબિયત ખરાબ જણાતા ફરીથી એનઆઈસીયુમાં દાખલ કરાવી હતી.