કતારગામમા અનાથ આશ્રમના ગેટ પાસે 5 દિવસ પહેલા તરછોડાયેલા નવજાત બાળકનુ સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં આજે સવારે મોત નીપજયું હતું. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામ ખાતે આવેલ અનાથાશ્રમના ગેટ પાસે મુકેલા ઘોડિયામાં ગઈ તા.29 મીએ રાત્રે મહિલા કે કોઈ વ્યક્તિ નવજાત બાળકને તરછોડી ગયું હતું.જો કે બાળકના રડવાનો અવાજ આવતો હતો અને ત્યાં કુતરાઓ જોર જોરથી ભસતા હતા. જેથી આશ્રમના મોટા બાળકો તરત બાળકને ઊંચકીને આશ્રમમાં લાવ્યા હતા અને તેમણે ત્યાંના કર્મચારીને જાણ કરી હતી. નવજાત બાળકને હાથ પગમાં મોજા, માથા પર ગરમ ટોપી તથા ગુલાબી રંગના કપડા પહેરાવેલા હતા અને બાળકને પીળા રંગના રૂમાલમાં વીંટાળેલું હતું.તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. સુરત શહેર છેલ્લા ઘણા સમયથી નિષ્ઠુર માતા કે કોઈ મહિલા પોતાનુ પાપ છુપાવવા કે અન્ય કોઈ કારણોસર નવજાત બાળકોને રસ્તે રઝળતી હાલતમાં ઝાડી ઝાંખરામાં, કચરા પેટીમાં, નદી કિનારે સહિતના વિસ્તારોમાં તરછોડી જવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
Monday, May 20